નવી દિલ્હી તા. ૧૧ : કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ ઘરે-ઘરે ગેસ કનેકશન અપાયા છે પરંતુ ગેસ સીલીન્ડરના ભાવ વધતા ગરીબ પરિવારો મુશ્કેલમાં મુકાયા છે.
રૂા. 200 સબસિડી બાદ કરતાં પણ સિલિન્ડર 800માં પડે છે
બીજી તરફ રેશનકાર્ડમાં ઉજ્જવલાનો સિક્કો લાગી જતાં કેરોસિન પણ મળતું નથી
ઉજ્જવલામાં ગરીબોના ઘરે ચૂલા બુઝાયા
દેશમાં ગરીબ વર્ગના પરિવારોના ઘરે ચૂલા પર રસોઈ બનતી હતી, જેને કારણે લાખો મણ લાકડાં બળતણ તરીકે વપરાતાં હતાં અને હવામાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હતું. ત્યાર બાદ દેશી ચૂલાનું સ્થાન પ્રાઇમસે લીધું હતું. એમાં પણ ગરીબોને રોજબરોજ કેરોસિનની હાડમારી અને ધુમાડાનું પ્રદૂષણ વેઠવું પડતું હતું. જેથી મહિલા સહિત માનવ જિંદગીનું સ્વાસ્થ્ય જોખમાતું હતું. એને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1લી મે 2016થી ઉજ્જવલા યોજના હેઠળ ઘેર ઘેર ગેસ કનેક્શન પહોંચાડી મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ અપાવાની શરૂઆત કરી હતી.
રેશનકાર્ડમાં ઉજ્જવલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસિન વિતરણ બંધ
જે યોજનાનો અમલ આણંદ-ખેડા જિલ્લામાં 2017માં થયો હતો, પ્રથમ તબક્કામાં જિલ્લાના 1.42 લાખ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને માત્ર રૂા. 100માં ગેસ-કનેક્શન ફાળવવાનું શરૂ થયું હતું. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 1,42,704 અને ખેડા જિલ્લામાં 1,46,520 મળી ચરોતરમાં કુલ 2,89,224થી વધુ ગરીબ પરિવારોને ત્યાં ગેસ-કનેક્શન પહોંચ્યાં છે. આ તમામ ગેસ-કનેક્શન ધરાવતા કાર્ડધારકોના રેશનકાર્ડમાં ઉજ્જવલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસિન વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.
1.82 લાખ લોકોની માસિક આવક પાંચ હજારથી પણ ઓછી
પરંતુ ગરીબ પરિવારો ગેસ-કનેક્શન મેળવીને ઉલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ થયો છે. ગેસના બાટલાના ભાવ 1000એ પહોંચ્યા છે. સરકારની સબસિડી માત્ર 200 રૂપિયા મળે છે, પરંતુ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-કનેક્શન મેળવનારા 70 ટકા પરિવારો, એટલે કે 1.82 લાખ લોકોની માસિક આવક પાંચ હજારથી પણ ઓછી છે. ત્યારે કાળઝાળ મોંઘવારીમાં ગેસના બાટલા ભરાવે તો 800 રૂપિયા જતા રહે તો પછી આખા મહિનાનું રેશન સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ લાવવી ક્યાંથી ? એ પ્રશ્ન સતાવી રહ્યો છે.
ગરીબ રેશનકાર્ડધારકોને બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ
ગેસના બાટલા માળિયા કે ઘરના ખૂણામાં મૂકીને પુનઃ લાકડાં વીણીને ચૂલા ફૂંકવા માટે ગરીબ મહિલાઓ 15મી સદીમાં જીવવા મજબૂર બની છે. ગેસ-કનેક્શન હોવાથી દર મહિને અગાઉ રેશનિંગ પર વ્યકિતદીઠ મળતું 2 લિટર કેરોસિન પણ બંધ થઇ ગયું છે, જેથી કેરોસિન વિના રાત્રે અંધારા ઉલેચવાના અને દિવસે ચૂલા ફૂંકવાનો વખત આવ્યો છે. ગરીબ રેશનકાર્ડધારકોને બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
ઊલમાંથી ચૂલમાં પડ્યાં, બાવાના બેય બગડ્યાં – 2018માં 13 રૂપિયે મળતું રેશનીંગનું લિટર કેરોસિન 2022માં રૂા. 83નું થયું, ઉજ્જવલા યોજનાવાળાને તો રૂા. 130માં મળે !
રેશનકાર્ડ ધારક પરિવારોને સરકાર દ્વારા અપાતાં કેરોસીનમાં મે માસમાં વધુ 4.90 પૈસાનો વધારો ઝીંકાયો હતો. જેથી હવે કાર્ડધારકે પ્રતિ લિટર આશરે રૂા. 83 ચૂકવવા પડે છે. ગત વર્ષે 1 લિટર કેરોસીનનો ભાવ 43ની આસપાસ હતો. આણંદ જિલ્લામાં માર્ચ માસમાં 1 લિટર રાહતના કેરોસીનનો ભાવ 63.30 હતો, એપ્રિલમાં 77.10 હતો, હવે મે માસમાં વધારો થઇને 83એ પહોંચ્યો છે.
2018ની શરૂઆતમાં રેશનકાર્ડ ધારકોને માત્ર રૂા. 13માં લિટર કેરોસીન મળતું હતું. ત્યારબાદ રૂા.17નો વધારો થતાં રૂા.30માં મળતું હતું. હવે રૂા. 83 ભાવ થઇ ગયો છે. 2018 પહેલા 7 ડેપોમાં માસિક 5થી 6 ટેન્કર કેરોસીન આવતું હતું. જે હાલમાં માંડ 3 ટેન્કર આવે છે. ડેપો પણ ઘટીને 4 થઇ ગયા છે.
એક વર્ષથી ગેસ સિલિન્ડર ભરાવ્યો નથી માળિયામાં મૂકી દીધો
સોજિત્રા તાલુકાના એક ગામમાં ઉજ્જવલા હેઠળ ગેસ કનેક્શન ધરાવનાર અંત્યોદય કાર્ડ ધારકને 2018માં ગેસ સિલિન્ડર મળ્યો હતો. શરૂઆતમાં 600 રૂપિયા હતા ત્યારે ભરાવતાં હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી ગેસ સિલિન્ડર ભરાવ્યો નથી. અમારી માસિક આવક માંડ 4 હજાર જેટલી છે. ઘરમાં ચાર સભ્યો છે. જેમાં બે બાળક છે. તેમને ખવડાવવું કે ગેસની બોટલ ભરાવીએ ? અત્યારે 1000 રૂપિયા છે. તેમાંથી 200 રૂપિયા સબસીડી મળે તો બાકીના નાંણા લાવવા ક્યાંથી? તેથી હું લાકડાં વીણી લાવી ચૂલા પર રસોઇ બનાવું છું. > ચંદાબેન સોલંકી, ગેસ કનેક્શન ધારક, સોજિત્રા
આણંદ-ખેડા જિલ્લામાં 2 વખત ઉજ્જવલા યોજના લોન્ચ કરાઇ
આણંદ જિલ્લામાં 2017-18માં 1,18,093 લાભાર્થીઓને ઉજ્જવલા કનેક્શન અપાયા હતા. ત્યારબાદ નાણાંકીય વર્ષ 2021-22માં ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લામાં 24,611 નવા લાભાર્થીઓને જોડવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 2,89,224 લાભાર્થીઓ છે.
2018 પહેલાં 2,11,650ને, હાલ માત્ર 30000ને કેરોસીન મળે છે
2018 પહેલાં ગેસ કનેક્શન નહીં ધરાવનાર 2,11,650 કાર્ડ ધારકોને માસિક વ્યક્તિ દીઠ 4 લિટર મહતમ 10 લિટર કેરોસીન અપાવામાં આવતું હતું. જે હાલમાં માત્ર ગેસ કનેક્શન નહીં ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ માત્ર 2 લિટર મહતમ 8 લિટર કેરોસીન આપવામાં આવે છે. હાલમાં આણંદ જિલ્લામાં માંડ 30 હજાર રેશનકાર્ડ ધારકોને કરોસીન મળે છે.