Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમદાવાદ નજીક સનાથલની સીમમાં દીપડો દેખાતા ફફડાટ

સનાથલની સીમમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું : ૭ માસના ગાળામાં બીજી વાર દીપડો દેખાયો, દીપડાની ફૂટ પ્રિન્ટ મળી આવતા વનવિભાગનો સ્ટાફ કામે લાગ્યો

અમદાવાદ, તા.૧૦ : સાણંદના સનાથલ ગામની સીમમાં બુધવારે રાત્રે દીપડો દેખાયો હોવાની વાત વહેતી થતા સનાથલ તેમજ આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે બીજી તરફ વનવિભાગને પણ દીપડાની ફૂટ પ્રિન્ટ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દીપડાને પકડવા કામે લાગ્યો છે. સનાથલ ગામની સીમમાં દીપડાએ નીલગાયનું  ારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આમ ફક્ત ૭ મહિનાના ગાળમાં બીજી વાર દીપડો દેખાતાં સમગ્ર સનાથલ તેમજ આસપાસના ગામોમાં ફફડાટ ફેલાયો હતો.

આ અહેવાલની પુષ્ટી કરતાં વન વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં દેખાયેલો દીપડો યુવા છે અને તેણે નીલગાયના વાછરડાનું મારણ કર્યું છે. વન વિભાગનું માનવું છે કે સાબરમતી નદીના કિનારે આવેલા કોતરોમાં આ દીપડો ભ્રમણ કરતો હોવો જોઈએ. અમદવાદ વિસ્તારના ડે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આર. શકિરા બેગમે કહ્યું કે 'સનાથલ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં અમે ૮ જેટલા પાંજરા દીપડાને પકડવા માટે ગોઠવી દીધા છે. તેમજ વન વિભાગના ૨૦ કર્મચારીઓની ટીમ આ દીપડાની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ડિપ્લોય કરવામાં આવી છે.' નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે *દીપડો નજીકના ખેતરની ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ, સગડના નિશાન વરસાદમાં ધોવાઇ ગયા હોવાથી શોધી શકાયા નથી.*

અધિકારીઓએ દીપડાની ઉંમર નક્કી કરવા માટે સગડના નિશાનોના ફોટોગ્રાફ મોકલ્યા છે, હાલ તેઓ માની રહ્યા છે કે દીપડો આશરે ૩ વર્ષ ઉંમર ધરાવે છે. વન વિભાગના સૂત્રોએ દાવો કર્યો કે તેઓ આ વિસ્તારમાં બીજો દીપડાની સંભાવનાને પણ નકારી રહ્યા નથી કારણ કે સ્થળ પર મળેલા પગલાની છાપમાં પહેલા કરતાં કેટલોક ફરક હોવાનું જણાય છે. ભારતના નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના સભ્ય એચ એસ સિંહે જણાવ્યું હતું કે, *શહેરોની નજીકના વિસ્તારમાં દીપડાની વધતી જતી પ્રવૃતિઓ અભ્યારણ્યમાં તેમની વસ્તીમાં વધારો થયો હોવાના સ્પષ્ટ સંકેત છે. આ ઉપરાંત હરણ અને ચિતલ જેવા તૃણાહારી પ્રાણીઓની વસ્તીમાં ઘટાડો થવાને કારણે પણ દીપડાઓ શહેર તરફ આવી રહ્યા હોઈ શકે છે.

એક વરિષ્ઠ વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતે દાવો કર્યો હતો કે, ૨૦૧૬ માં નોંધાયેલા દીપડાઓની સંખ્યા ૧,૩૯૫ હતી જે ખરેખર ઓછી છે. તેમની કુલ વસ્તી વધારે છે અને તેનો એક સંકેત એ છે કે હાલના સમયમાં માનવ વસાહતોની આસપાસ પણ વારંવાર દીપડાઓ જોવા મળે છે.

વન્ય પ્રાણીઓની માનવ વસાહત નજીક દેખવાની બે ઘટનાઓ હાલના સમયમાં નોંધાઈ છે- એક ગત વર્ષે ડિસેમ્બરમાં એક જરખ દેખાયું હતું અને બીજી ઘટના જેમાં એક દીપડો આ જ વર્ષે ૩૧ જાન્યુઆરીએ સનાથલ ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં માર્યો ગયો હતો. જો કે, જાન્યુઆરીની ઘટનામાં વન વિભાગ એ શોધવામાં નિષ્ફળ રહ્યું હતું કે દીપડો ક્યાંથી આવ્યો હતો.

(9:14 pm IST)