Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પીએમ મોદીના જન્મદિવસે રાજ્યના મહાનગરોના સ્લમ વિસ્તારોમાં દીનદયાળ ઔષધાલય શરૂ કરાશે

ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે

અમદાવાદ : મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના મહાનગરોના મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી 2022ના અંત સુધીમાં મહાનગરોમાં 100 ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલી વિવિધ કામગીરી, બેસ્ટ પ્રેકટીસીસનું આદાન-પ્રદાન તેમજ કોમન પોઇન્ટ પર ચર્ચા-વિચારણા કરીને રાજ્યના મહાનગરોને વધુ પ્રાણવાન બનાવવાનું સામૂહિક મંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યભરમાં 400થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ લોકહિત કામોથી ઉજવણી કરાશે તેની પણ વિસ્તૃત વિગતો આ તકે આપી હતી. તેમણે આ ઉજવણીની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના મહાનગરોમાં સ્લમ વિસ્તારોમાં 3 હજારથી વધુ વસ્તીએ પોતાના ઘરઆંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય તા. 17મી સપ્ટેમ્બર શરૂ કરાશે. દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની માતા-બહેનોને પરંપરાગત ચૂલા-સગડીમાંથી નીકળતાં ધૂમાડામાંથી મૂક્તિ અપાવવા અને રસોઇ ઘરમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત 2016માં કરી હતી. વડાપ્રધાનના જન્મદિવસે તેમની આ ફલેગશીપ સ્કિમ ઉજ્જવલા યોજના-2.0 અંતર્ગત રાજ્યમાં 3 લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અને સિલિન્ડર આપવામાં આવશે.

ભારતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલું કોવિડ રસીકરણ અભિયાન સમગ્ર વિશ્વનું સૌથી ઝડપી અને વ્યાપકપણે ચાલી રહેલું રસીકરણ અભિયાન સાબિત થયું છે. જેથી વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યના એવા 7100 ગામો જ્યાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે તે ગામોના સરપંચોનું પ્રમાણપત્રથી સન્માન કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

વિજયભાઈ  રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન અન્વયે શૌચાલયોના શોષ ખાડાનું રિપેરીંગ, સામૂદાયિક-જાહેર શૌચાલયોના શોષ ખાડાની મરામત, નવા શૌચાલયોનું નિર્માણ અને જરૂરિયાત જણાય ત્યાં શૌચાલય પૂન: નિર્માણ, મરામતના કામો પણ વડાપ્રધાનના જન્મદિવસે હાથ ધરવામાં આવશે. એટલું જ નહી, કોરોના કાળ દરમ્યાન કોરોનામાં માતા અથવા પિતા બેમાંથી કોઇ એક ગુમાવનારા અનાથ નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે રૂ. બે હજારની માસિક સહાય પણ ડી.બી.ટી.થી આપવાનો પ્રારંભ કરાશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ કાર્યક્રમો રાજ્ય સરકાર યોજવાની છે. મહાનગરોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા, સફાઇના બેઝિક કામોને પ્રાયોરિટી આપવા પદાધિકારીઓ અને કમિશનરોને સૂચન કર્યુ હતું. રાજ્ય સરકાર મહાનગરો-નગરોના વિકાસકામો માટે પૂરતા પૈસા-નાણાં આપે છે ત્યારે મહાનગરો પણ પોતાની નાણાંકીય સ્થિતિ મજબૂત કરે અને ફાયનાન્સીયલ ડિસીપ્લીન જાળવી વિકાસના કામો ત્વરાએ ઉપાડી જ્યાં માનવી ત્યાં સુવિધા સાકાર કરે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરોના મ્યૂનિસિપલ કમિશનરોએ પોતાના મહાનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લેગેસી વેસ્ટ નિકાલ, રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, એસ.ટી.પી., નલ લે જલ, ટી.પી સ્કિમ અને ફાટકમુકત ગુજરાત તહેત રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજની હાથ ધરાઇ રહેલી કામગીરીના પ્રેઝન્ટેશન કર્યા હતા.

(10:58 pm IST)