Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કલોલના રાંચરડામાં પ્રેમી-પંખિડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

પરિવાર પ્રેમ નહી સ્વીકારે તેમ લાગતા અંતિમ પગલું ભર્યું : પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી

કાલોલ તા.09 : કલોલ તાલુકાના રાંચરડા ગામે પરિવાર પ્રેમ નહી સ્વીકારે તેમ લાગતા બંનેએ સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં રાંચરડા ગામે આવેલ એક ફાર્મ હાઉસના પાછળના ભાગે લીમડાના ઝાડ ઉપર એક યુવક અને યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી આવી હતી.

બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને લોશોને નીચે ઉતારીને પી.અમે. અર્થે સરકારી હોસ્પીટલમાં મોકલી હતી. અને બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને એકબીજાને પ્રેમ કરતા હોવાનું અને તેમનો પ્રેમ પરિવારજનો સ્વીકારશે નહી તે ડરના કારણે બંનેએ આત્મહત્યા કરી હોવાનું માલુમ પડયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના રાંચરડા ગામે લીમડાના ઝાડ ઉપરથી પ્રેમી પંખીડાની લાશો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બનાવને લઈને આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી. અને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. બનાવની જાણ સાંતેજ પોલીસને કરવામાં આવતા પોલીસ મથકના એએસઆઈ જીતેન્દ્રસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને લાશને નીચે ઉતરાવી હતી અને તપાસ હાથ ધરતા લાશ રાંચરડા ગામે દંતાણી વાસમાં રહેતી પુજાબેન રાજુભાઈ દંતાણી (ઉ.વ.16) અને જીગ્નેશભાઈ ઉર્ફે જીગો મહીપતભાઈ દંતાણી (ઉ.વ. 19)ની હોવાનું માલુમ પડયું હતું. પોલીસની તપાસમાં માલુમ પડયું હતું કે આ બંને એકબીજાના પ્રેમમાં હતા. અને પોતાનો પ્રેમ ઘરવાળા સ્વીકાર નહી કરે તેવા ડરના કારણે બંને જણાએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બંનેની લાશોને પી.એમ. અર્થે કલોલની સીવીલ હોસ્પીટલમાં ખસેડી હતી. અને બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:33 pm IST)