Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૧ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરાયું ત્યારે

સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોકજાગૃતિ કેળવવા રાજ્યપાલશ્રી દ્વારા નવતર અિભયાન શરૂઃ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સપરિવાર ફળઝાડનું વાવેતર કર્યુઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાન અને મંત્રીઓના નિવાસ સ્થાને જાતે જઇને રાજ્યપાલશ્રીએ ફળઝાડનું વાવેતર કરી પ્રેરણા પૂરી પાડી

રાજભવન- ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વૃક્ષારોપણ : રાજકોટ: ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા આજે  સવારે રાજભવન, ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજભવન ખાતે લેડી ગવર્નરશ્રી, વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ સહિત રાજભવન અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે મુખ્યમંત્રીશ્રી તેમજ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને વનમંત્રીશ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં વીટામીન-સી થી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કેસર આંબાનું વાવેતર કર્યુ હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઇને ફળઝાડનું વાવેતર કર્યુ હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફળઝાડનું વાવેતર કર્યુ હતું.

રાજ્યપાલશ્રી સ્વયં પગે ચાલીને નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓના નિવાસસ્થાને ગયા હતા અને દરેક મંત્રીશ્રીની સાથે મંત્રી નિવાસસ્થાને વિવિધ પ્રકારનાં ફળઝાડનું વાવેતર કર્યુ હતું. તેમણે  ફળઝાડ અને શાકભાજી સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા મંત્રીશ્રીઓને અનુરોધ પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વર્ષ ૨૦૨૧ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ ફળ અને શાકભાજીના વપરાશથી સ્વાસ્થ્યરક્ષા અને પોષણ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. લોકો ઘર આંગણે તેમજ ખેતરમાં ફળઝાડના વાવેતર માટે પ્રેરાય તે ઉદેશથી રાજ્યપાલશ્રીએ ફળઝાડ અને બાગાયતી વૃક્ષોનાં વાવેતરનું આ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા લીંબુ, આમળા, જામફળ અને સરગવાના ૪૦૦ રોપા, નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ચીકું અને કેળાંના ૨૦૦ રોપા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કેસર આંબાના ૧૦૦ રોપા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા સીતાફળના ૧૦૦ રોપા, ગોધરા કેન્દ્ર દ્વારા બીલી અને જાંબુના ૨૦૦ રોપા મળી કુલ ૧૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ડી.કે.શર્મા, રાજયપાલશ્રીના અગ્ર સચિવશ્રી મનીષ ભારદ્વાજ, બાગાયત નિયામકશ્રી પી.એમ.વઘારીયા, ખેતી નિયામકશ્રી ભરત મોદી સહીતના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(5:33 pm IST)