Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

૫ વર્ષમાં ૨૯ ટકા સિંહોની વસ્તી વધીઃ વિજયભાઈ રૂપાણી

વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાઃ સોરઠનો સાવજ એશિયાની શાન છે, સિંહ પ્રાણી જ નહિ પરંતુ શકિતનું પણ પ્રતિકસિંહ સંરક્ષણ અને સંવર્ધનના ભગીરથ કાર્યમાં સંકલ્પબધ્ધ થવા ૫૦ લાખ લોકોને એસએમએસ અને ઇ-મેઇલથી સંદેશો પાઠવાશે : સાસણના ડીસીએફ મોહન રામ : સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ઘ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટીક રિસર્ચ સેન્ટરની સ્થાપના આવનારા દિવસોમાં કરવાની નેમ : એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહ્વાન : એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીશ્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે : ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ જતન માટે સાસણમાં અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે : સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં ત્રણ જિન પૂલ શરૂ કર્યા

તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, વનમંત્રી ગણપતભાઈ વસાવા, વન રાજ્યમંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વન વિભાગના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના હોદેદારો, વન્યપ્રેમીઓ જોડાયા હતા તે નજરે પડે છે. છેલ્લે ઈન્સેટ તસ્વીરમાં  સાસણના ડીસીએફ મોહન રામ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૦ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ સિંહ દિવસની રાજયના વન વિભાગ દ્વારા થયેલી ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં એશિયા ખંડની શાન-સોરઠના સાવજના જતન સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગરૂકતા વ્યાપક બનાવવા પ્રેરક આહવાન કર્યુ હતું .

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતનું સદનસીબ અને ગૌરવ છે કે એશિયાટીક લાયનની વિરાસત ગુજરાત ધરાવે છે. સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો સહિત સૌના ભાવાત્મક જોડાણ, સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં ર૯ ટકા જેટલો વધારો થયો છે ૨૦૧૫માં પર૯ સિંહ હતા તે વધીને હવે ૬૭૪ થયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ વૃદ્ધિ સ્પષ્ટ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થા એ માનસિકતા બની ગઇ છે.

તેમણે આ માનસિકતાને વ્યાપક ઊજાગર કરવા અને સિંહના જતન, સંવર્ધન, સંરક્ષણમાં બાળકો, યુવાનો સહિત સૌ પ્રેરિત થાય તે માટે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી યથાર્થ બને તેવી અપેક્ષા દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સિંહની આપણી સંસ્કૃતિમાં જે મહત્તા છે તે વર્ણવતા ઉમેર્યુ કે, આપણે ત્યાં નરસિંહ અવતાર છે અને સિંહને શકિત ભકિતના પ્રતિક તરીકે પૂજનીય સ્વીકૃતિ મળેલી છે. એટલું જ નહિ, ભારતના રાજચિન્હ-એમ્બલમમાં પણ સિંહના મૂખની પ્રતિકૃતિ દર્શાવાયેલી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સિંહના વિચરણ-હર ફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી ૩૦ હજાર ચોરસ કિલોમીટર થયો છે તેની પણ ભૂમિકા આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સરળતાએ સિંહ જોવા મળે અને ગીર જંગલ સિવાયના વિસ્તારોમાં પણ સિંહ દર્શનની પ્રવાસન પ્રવૃત્તિ વિકસે તે માટે અમરેલીના આંબરડી અને જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસાવવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે સિંહના આરોગ્ય જતન, સંરક્ષણ માટે સાસણગીરમાં અદ્યતન લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, રેસ્કયુ એન્ડ રેપિડ એકશન ટિમ, ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રના નવતર કન્સેપ્ટ વિકસાવી વનરાજની માવજત જાળવણીનું કામ જનસહયોગથી ઉપાડયું છે.

સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાતવીરડા એમ ત્રણ સ્થળોએ જિનપૂલ શરૂ કરવામાં આવ્યા છે.  

એશિયાઇ સિંહોના સંરક્ષણને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ લાયન પ્રોજેકટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્કયુ સેન્ટર્સ હોસ્પિટલ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહોની સારવાર સુશ્રુષા માટે સારવાર કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગી કરી સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી મજબૂત બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વન વિભાગે ઓનલાઇન આયોજિત કરેલી ડ્રોઇંગ અને ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓ જાહેર કર્યા હતા અને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે સિંહની સ્વીકૃતિ અને શાન જાળવવા સૌને પ્રતિબદ્ધ થવા અનુરોધ કરતાં ઉમેર્યુ કે, એશિયાટીક સિંહનું ગૌરવ વિશ્વસ્તરે વ્યાપક ઊજાગર થાય તે માટે વિશ્વ સિંહ દિવસે સંકલ્પબદ્ધ બનીએ.  

વન પર્યાવરણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ એશિયા અને ગુજરાતના ગૌરવ રૂપ સિંહોને કારણે પ્રવાસન પ્રવૃત્તિ પણ વ્યાપક વિકસી છે અને સ્થાનિક રોજગાર અવસરો ખૂલ્યા છે તેની લાગણી પ્રાસંગિક સંબોધનમાં વ્યકત કરી હતી.

તેમણે જણાવ્યું કે, ર૦૧૯માં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પાંચ હજાર શાળાઓ તથા ૧૧ લાખથી વધુ લોકોને જોડીને ગુજરાતે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી સિંહની સમૃદ્ધિનો ડંકો દુનિયામાં વગાડયો હતો.

વન મંત્રીશ્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વન્યજીવો પ્રત્યે, તેમના આરોગ્ય જતન પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.

સિંહોમાં ભૂતકાળમાં જોવા મળેલી બિમારી સામે રક્ષણ આપવા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમેરિકાથી રસી મંગાવી સિંહોને આપવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકીએ વિશ્વ સિંહ દિવસની રૂપરેખા સાથે સ્વાગત પ્રવચન અને અગ્ર મુખ્ય વનસંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડી. કે. શર્માએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

વન્યપ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી શ્યામલ ટિકાદર, વન વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની શાળાના બાળકો, વન કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સથી આ ઉજવણીમાં જોડાયા હતા.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકસહયોગ મળી રહે તે માટે કરવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ દ્વારા આ દિવસે સિંહ સંરક્ષણ અને સંવર્ધનના ભગીરથ કાર્યમાં જોડાય સંકલ્પબધ્ધ થવા માટે ૫૦ લાખ લોકોને એસ.એમ.એસ.દ્વારા અને એક લાખ લોકોને ઇ-મેઇલ દ્વારા સંદેશો પાઠવવામાં આવશે તેમ સાસણના ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું.

(2:01 pm IST)