Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગુજરાત રાજ્‍યમાં હવે 5 થી 6 જીલ્લાના બદલે કોરોનાએ 14 જીલ્લામાં પોતાની અસર વર્તાવીઃ પોઝીટીવ કેસમાં વધારો

જો કે એકપણ વ્‍યકિતનું મૃત્‍યુ ન થતા રાહતઃ રિક્‍વરી રેટ 99.07 ટકા થઇ ગયો

રાજકોટઃ ગુજરાત રાજ્‍યમાં કોરોના કેસમાં હવે ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે અને હવે 5 થી 6 જીલ્લાના બદલે કોરોનાએ 14 જીલ્લામાં પોતાની અસર વર્તાવી છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો આંકડો છેલ્લા બે દિવસમાં 100 ને પાર કરી ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 117 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 45 દર્દીઓ સાજા થયા છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 517 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 517 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,354 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,944 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો કે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસ અને ડિસ્ચાર્જ દર્દીની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 62 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 અને રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાં 2-2 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 27, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 6, વલસાડમાં 2, ગાંધીનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2 અને દેવભૂમી દ્વારકામાં 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થયો છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 81,353 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1682 ને રસીનો પ્રથમ અને 23,678 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 2039 ને રસીનો પ્રથમ અને 2,962 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 40,095 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1260 ને રસીનો પ્રથમ અને 9,637 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 11,04,08,699 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

(5:20 pm IST)