Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

આંતરાષ્ટ્રીય ટ્રાવેલ પ્રદર્શન ઇન્ડિયા ટ્રાવેલનો શુભારંભ

પર્યટન-ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હેતુઃ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જમ્મુ-કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર મહેમુદ શાહ દ્વારા ટ્રાવેલ માર્ટનું ઉદઘાટન કરાયું

અમદાવાદ,તા. ૯, દેશમાં પર્યટન અને ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવાના ભાગરૃપે અમદાવાદ શહેરમાં આજથી ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રાવેલ પ્રદર્શન એવા ઇન્ડિયા ટ્રાવેલ માર્ટનો પ્રારંભ થયો હતો. તા.૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન એમ ત્રણ દિવસ સુધી ચાલનારા આ ટ્રાવેલ માર્ટનું ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જમ્મુ અને કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર મહેમુદ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઇટીએમના નિર્દેશક અજય ગુપ્તા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર મહેમુદ શાહ અને આઇટીએમના નિર્દેશક અજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગમાં ગુજરાત એ બહુ મોટુ યોગદાન આપતું રાજય છે. દેશના કોઇપણ ખૂણામાં ફરવા જનારાઓમાં ગુજરાતીઓની સંખ્યા નોંધપાત્ર અને ઘણી વધુ હોય છે, તેથી આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રાવેલ પ્રદર્શનને લોકોની જાણકારી માટે ખાસ કરીને પર્યટન અને ટુરીઝમને લગતી તમામ માહિતી એકમંચ પરથી ઉપલબ્ધ થાય તે હેતુથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનથી ભારતમાં આવનારા, ભારતના વિવિધ રાજયો અને વિદેશમાં ફરવા જનારા પર્યટકોને દેશી-વિદેશી કંપનીઓ સાથે સીધ વાતચીત કરવાનો અને અનેક આકર્ષક પેકેજીસ, યોજનાઓનો લાભ મેળવવાનો મોકો પ્રાપ્ત થશે. સાથે સાથે દેશના કોઇપણ હિસ્સામાં ઉત્કૃષ્ટ હોટલો, રિસોર્ટ, હેરીટેજ હોટલ, આયુર્વેદિક-ચિક્ત્સાકેન્દ્રો, ટુર ઓપરેટરો, એજન્ટો, સાહસિક પર્યટન, અવકાશ, હનીમૂન તેમ જ પેકેજ ટુર સહિતની તમામ માહિતી એક જ પ્લેટફોર્મથી પણ હાથવેંતમાં જ ઉપલબ્ધ બનશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ટ્રાવેલ માર્ટ પ્રદર્શનમાં મોટી મોટી દેશી-વિદેશી કંપનીઓ પણ ટુર, પર્યટન અને હોટલ ઉદ્યોગ  સંબંધી અનેક આકર્ષક ઓફરો જાહેર કરશે, તેથી તેનો જનતાએ લાભ ઉઠાવવો જોઇએ. જમ્મુ-કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર મહેમુદ શાહ અને આઇટીએમના નિર્દેશક અજય ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, શ્રીનગર, અનંતનાગ, પહેલગામ સહિતના ઘણાબધા ક્ષેત્રોમાં આંતકવાદી હુમલાઓ સહિતની અખબારોમાં આવતી ખબરોમાં તમામ સાચી હોતી નથી ખાસ કરીને લોકેશનની દ્રષ્ટિએ.

હુમલો પર્યટન સ્થળ કે ટુરીસ્ટ પોઇન્ટથી ઘણા કિલોમીટર દૂર થયા હોય છે પરંતુ તેની ખબરોની નકારાત્મક અસર સીધી ટુરીઝમ ઉદ્યોગ પર પડે છે. લોકોના જનમાનસમાંથી આ નકારાત્મકતા દૂર કરવા અને ટુરઝીમ ઉદ્યોગને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા માટે પણ અમે આ આયોજન કર્યું છે.

(10:05 pm IST)