Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું : મેલેરિયાના 47, ડેન્ગ્યૂના 41, ચીકનગુનિયાના ત્રણ કેસ

૬ ઓગસ્ટ સુધીમાં પાણીના 17 સેમ્પલ અનફીટ આવ્યા : ખાણી-પીણીનું વેચાણ કરનારાઓના ત્યાં ચેકિંગ કરાશે

અમદાવાદ  તા.09 : અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને દિન ઝાડા-ઉલટી અને કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને 6 ઓગસ્ટ સુધીમાં ઝાડા- ઉલટીના 312, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે. જેને લઈ  અમદાવાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

ગત વર્ષે ઓગસ્ટમાં નોંધાયેલા રોગચાળાની સરખામણીએ ચાલુ વર્ષે ઝડા-ઉલટીના કેસો, કમળાના કેસો અને ટાઈફોઈડના કેસોમાં દોઢ ગણો વધારો થયો છે. આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે.

ગત વર્ષે ઓગસ્ટમાં મહિનામાં ઝાડા- ઉલટીના 359 કેસ હતા. જ્યારે ચાલુ વર્ષે 6 ઓગ્સટ સુધીમાં ઝાડા- ઉલટીના 312, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે 6 ઓગસ્ટ સુધીમાં સાદા મેલેરિયાના 47, ડેન્ગ્યૂના 41, ફાલ્સીપારમના 1 અને ચીકન ગુનિયાના 3 કેસ નોંધાયા છે. ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસવાને પગલે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે તેમજ ગંદકી અને કાચવ- કીચડ થવાને કારણે પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે અને પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે.

ગત જુલાઈ મહિનામાં કમળાના 177 કેસ હતા ટાઈફોઈડના 165 કેસ નોંધાયા હતા. શહેરના મધ્ય ઝોન, પૂર્વના વિસ્તારોમાં પાણીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે અને ખાડિયા, શાહપુર, દરિયાપુર, બાપુનગર, ખોખરા, ઓઢવ, લાંભા, વિરાટનગર, નિકોલ, મણિનગર, ઈસનપુર, સહિત પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસો વધુ નોંધાયા છે.

મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરિયા, પાણીપુરીની લારીઓ, તેમજ અન્ય ખુલ્લા અને આરોગ્યના નિયમોનું પાલન નહીં કરનાર ખાણી પીણીના ધંધાદારીઓના સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવશે. ચોમાસામાં ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે પગલાં લેવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં પાણીના ૧૭ સેમ્પલ અનફીટ આવ્યા છે.

(9:32 pm IST)