Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા રહેતી જીમ ટ્રેનરે ધાબા પરથી પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: ચાંદખેડાના ઘરતી બંગલો પાસે આવેલી ઉપવન રેસિડન્સીના ધાબા પરથી મહિલા જીમ ટ્રેનરે સોમવારે સવારે પડતું મુકીને આત્મહત્યા કરી હતી. ચાંદખેડા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. 

 ચાંદખેડાના ઉપવન રેસિડન્સીમાં રહેતાં પ્રિયંકાબહેન દલપતભાઈ પરમાર (ઉં,૩૧)નાઓએ રેસિડન્સીની ટેરેસ પરથી નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. ચાંદખેડા પોલીસે બનાવને પગલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા  પ્રિયંકાબહેનના પરિવારમાં પિતા દલપતભાઈ, ત્રણ બહેન અને એક ભાઈ હતા. પાંચ ભાઈ-બહેનમાં પ્રિયંકાબહેન સૌથી મોટા હતા.પ્રિયંકાબહેન અપરિણીત હોવાનું તેમજ લગ્ન કરવા માંગતા ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતકને નાનપણમાં પેટની સર્જરી કરાવી હોવાથી તેનું નિશાન પણ રહી ગયું હતું. સર્જરીનું નિશાન લગ્નમાં અડચણરૂપ હોવાનું મૃતક માનતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ચાંદખેડા પોલીસની તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનો તેમજ સગાસબંધીઓ અને જીમમાં તેઓ સાથે ફરજ બજાવતા અને કામ કરી ચુકેલા લોકોના નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. 

 

(7:03 pm IST)