Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વડોદરાના છાણી વિસ્તારમાં અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ પતિની ઘાતકી હત્યા કરતા ગુનો દાખલ

વડોદરાઃ નાની નાની વાતોમાં પત્નીને ટોર્ચર કરતા પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીની ગઇરાતે સહનશક્તિ ખૂટતાં તેણે  પતિની ઘાતકી રીતે હત્યા કરી હતી.ફતેગંજ પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

છાણી ટી પી-૧૩ વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં ૪૨ વર્ષનો નવીન ગોરધનભાઇ શર્મા તેની પત્ની રંજન, ૮ વર્ષના પુત્ર અને ૬ વર્ષની  પુત્રી સાથે રહેતો હતો.બાજુના જ ફ્લેટમાં નવીનના વયોવૃધ્ધ પિતા  ગોરધનભાઇ અને માતા કૈલાસબેન રહે છે.નવીનને તેની પત્ની રંજન સાથે અવારનવાર તકરાર થતી હોવાથી  રંજન  બાજુમાં આવેલા સસરાના ફ્લેટમાં બાળકો સાથે સૂઇ રહેતી હતી.

નવીન કોઇ કામ ધંધો કરતો નહતો.જ્યારે,રંજન આસપાસના બંગલા ઓમાં ઘરકામ કરીને  બંને બાળકોને ઉછેરતી હતી.ગઇકાલે રાતે રંજન ઘેર આવી હતી અને સસરાને ખીર ખવડાવી હતી.આ વખતે તેના બંને સંતાનો બાજુના ફ્લેટમાં પતિ નવીન પાસે હતા.જેથી રંજન પણ ત્યાં ગઇ હતી.મધરાતે બાર વાગે તે બાળકોને લઇ સસરાના ફ્લેટમાં પરત આવી હતી.

સવારે સાડા છ વાગે રંજન ફરીથી પતિના ફ્લેટમાં ગઇ હતી અને થોડી વારમાં તેણે સસરાને બૂમ પાડી હતી કે,પપ્પા જલ્દી આવો, નવીન નીચે પડી ગયા છે,બોલતા નથી.વૃધ્ધ સસરાએ ત્યાં જઇ નવીનને પાણી પીવડાવ્યું હતું પણ તે પીતો નહતો.જેથી ૧૦૮ને બોલાવી હતી.નવીનના ગળા તેમજ હાથે-પગે ઇજા જોઇ ૧૦૮ના સ્ટાફને શંકા ગઇ હતી.તેમણે ફતેગંજ પોલીસને જાણ કરતાં પીઆઇ કે પી પરમારે તપાસ કરી હતી.જે દરમિયાન નવીનની હત્યા થઇ હોવાની વિગતો ખૂલી હતી.

(7:02 pm IST)