Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગીર-બૃહદમાં ૩૦ હજાર ચો.કી.મી.માં વિહરતા જંગલના રાજાઃ કાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતી અને લોકભાગીદાર વધે તે માટે દર વર્ષે ઉજવણીઃ પ્રત્‍યક્ષ અને વર્ચ્‍યુલ ઉજવણીમાં લોકો જોડાશેઃ સાસણગીર વન્‍ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામની આગેવાનીમાં આયોજન

રાજકોટ, તા., ૯ : કાલે તા.૧૦ ઓગષ્‍ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામની આગેવાનીમાં તડામાર તૈયારી થઇ રહી છે.

આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્‍યતા દર્શાવે છે. સિંહ એ જૈવિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્‍થિતીક રીતે ઘણું અલગ અને આગવું મહત્‍વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્‍તારમાં કુદરતી અવસ્‍થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્‍થાનીક લોકોનું અમુલ્‍ય યોગદાન રહેલું છે. ગુજરાત સરકારશ્રી, વન વિભાગ, ગુજરાત રાજય અને સ્‍થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્‍તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંખ્‍યા વધતાની સાથે તેઓ ભુતકાળના તેમના નિવાસ સ્‍થાનને પુનઃ મેળવી રહયા છે. આજે સિંહો ગીર અને બૃહદગીરના ૩૦૦૦૦ ચો. કી.મી. વિસ્‍તારમાં મુક્‍ત પણે વિહરતા જોવા મળે છે. આ વિસ્‍તારને એશિયાટીક લાયન લેન્‍ડસ્‍કેપ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ, ગુજરાત રાજય દ્વારા ૨૦૧૬ નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, શિક્ષણ વિભાગનો સ્‍ટાફ, સ્‍થાનિક જનપ્રતિનિધીશ્રીઓ, એન.જી.ઓ.ના સભ્‍યો, પ્રકૃતિપ્રેમીઓ, સિહ પ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવેલ છે ૨૦૧૬ માં ૫.૪૬ લાખ, ૨૦૧૭ માં ૮.૭૬ લાખ, ૨૦૧૮ માં ૧૧.૦૨ લાખ, ૨૦૧૯ માં ૧૧.૩૭ લાખ ની મોટી સંખ્‍યામાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષોમાં કોવિડ-૧૯ મહામારીના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રત્‍યક્ષ રીતે ઉજવણી શક્‍ય ન હતી. લોકોના સિંહ પ્રત્‍યેના પ્રેમને ધ્‍યાને લઇ ડીજીટલ મીડીયાના માધ્‍યમથી વર્સ્‍યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને જેમાં ખુબજ મોટા પ્રમાણમાં દેશ અને વિદેશના સિંહ પ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જેની સંખ્‍યા ૨૦૨૦ માં ૭૨.૬૩ લાખ અને ૨૦૨૧ માં ૮૫.૦૧ લાખ ની હતી. આમ કોવીડ-૧૯ની પરિસ્‍થીતી હોવા છતા વર્ચ્‍યુલ માધ્‍યમથી ખુબજ મોટા પ્રમાણમાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.

ચાલુ વર્ષે ૧૦મી ઓગસ્‍ટના રોજ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્‍યક્ષ રીતે અને ડોજીટલ મીડીયાનો ઉપયોગ કરી વર્ચ્‍યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વન વિભાગ, ગુજરાત રજય, ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સ્‍થાનિક લોકોના સહીયારા પ્રયાસોથી સૌરાષ્ટ્રના ૮ જીલ્લાઓની આશરે ૬૫૦૦ જેટલી શાળાઓ/કોલેજોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે. આ ભવ્‍ય ઉજવણીમાં આશરે ૧૫ લાખથી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમ જે તે ગામ/શહેરની શાળાઓમાં કરવામાં આવશે જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્‍યશ્રીઓ, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગુજરાત સરકારશ્રીના જુદા જુદા વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ શાળાએ ૧૦ મી ઓગષ્ટના રોજ એકત્ર થઇ આ કાર્યક્રમમાં જોડાશે.

ડીજીટલ મીડીયાના માધ્‍યમથી વર્ચ્‍યુલ રીતે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં લોકો દ્વારા સિંહોને લગત પોષ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટુંકા વિડીયા, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્‍લોગ, ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. વધુમાં વધુ  લોકો વર્ચયુલ રીતે ડીજીટલ મીડીયાના વિવિધ માધ્‍યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે આશરે ૭૦ લાખ લોકોને એસએમએસ અને ૧૭ લાખ લોકોને ઇ-મેલ મોકલવામાં આવશે. આ વર્ષની ઉજવણી માટે

હેઝ ટેગ #WorldLionDay 2022 રહેશે. આ હેઝ ટેગનો ઉપયોગ કરી વિશ્વ ભરના લોકો ટેકસ મેસેજ, ફોટોગ્રાફસ, ટુંકા વિડીયો, ગ્રાફિક્‍સ સોશ્‍યલ મીડીયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગ લઇ શકશે. વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચે તે માટે સાહિત્‍ય કલાકારશ્રીઓ દ્વારા પણ આવા સંદેશા પ્રસિધ્‍ધ કરવામાં આવશે.ભારત અને ગુજરાતના ગૌરવ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનમાં માટે વધુમાં વધુ લોકો પ્રત્‍યક્ષ તેમજ વર્ચ્‍યુલ માધ્‍યમથી આ કાર્યક્રમમાં જોડાય તેવી આશા રાખવામાં આવે છે તેમ ડો.મોહનરામ નાયબ વન સંરક્ષણ વન્‍યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યજીવ અભ્‍યારણ્‍ય ગુજરાત (ભારત) એ જણાવ્‍યું છે. 

(12:13 pm IST)