Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

એકાઉન્ટમાંથી ઉપડી ગયેલા ૩૦ હજાર ચૂકવવાનો આદેશ

કન્ઝ્યુમર કોર્ટનો SBIને ખાતાધારકના પક્ષે આદેશ : કોર્ટે ગ્રાહકને માનસિક હેરાનગતિ બદલ ૫૫૦૦ રૂપિયા ચુકવવા નિર્દેશ આપ્યો, ફોનપે મારફતે પૈસા ઉપડી ગયા

અમદાવાદ, તા.૯ : કન્ઝ્યુમર કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ને આદેશ આપતા તેના ખાતાધારકને બેક એકાઉન્ટમાંથી ઉપડી ગયેલી રકમ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. આ સાથે માનસિક હેરાનગતિ માટે વધારાના રૂ. ૫૫૦૦ પણ ચૂકવવા કહેવામાં આવ્યું છે. આ ખાતાધારકના એકાઉન્ટમાંથી છ વખત ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૩૦૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા હતાં. જોકે આ માટે એકપણ વાર ખાતાધારકને મોબાઈલમા ઓટીપી આવ્યો નહોતો.

સૌરાષ્ટ્રના દેવભૂમી દ્વારકામાં રહેતા ૪૫ વર્ષીય સંજયકુમાર શાહુ સાથે આ ઘટના ઘટી હતી. જેમાં ગત ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ કોઈએ તેમના ખાતામાંથી ફોનપે એપ્લિકેશન મારફતે છ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ .૩૦,૦૦૦ ઉપાડ્યા હતા. જેમાં દરેક વખતે ૫,૦૦૦ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. જોકે, શાહુને એક વખત કોઈ ઓટીપી મળ્યો નહોતો. પરંતુ જ્યારે ૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ તેણે પોતાની પુત્રીના અભ્યાસ માટે ફી ભરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખાતામાંથી ઉપડી ગયેલા રૂપિયા અંગે ખબર પડી હતી. જેથી તેણે બેંકનો સંપર્ક કર્યો અને બેકે તેમને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી.

શાહુએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં અરજી કરી હતી. જેમાં ખાતાધારકે બેંકિંગ સેવાઓમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાની ચોરાયેલી રકમ તેમજ હેરાનગતિ પેટે વધારાના ૯૦૦૦ રૂપિયાના વળતરની માંગણી કરી હતી.

જોકે એસબીઆઈ બેંકે કમિશનને કહ્યું કે ફોનપે સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને ગ્રાહકે પોતાનું એકાઉન્ટ જે તે એપ્લિકેશન સાથે જોડવા માટે બેંક તરફથી કોઈ સહમતી લીધી નહોતી. તેમજ ગ્રહાકે જે ફરિયાદ નોંધાવી છે તે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે નોંધાવી છે. જોકે તેમની સાથે છેતરપિંડી કોઈ અન્ય વ્યક્તિ કરી છે. જેથી ફરિયાદીની બેદરકારીને કારણે આ વ્યવહારો થયા હોવાનું બેંકે પોતાની રજૂઆતમાં કહ્યું હતું. બેંકની રજૂઆત જાણીને કન્ઝ્યુમર ફોરમની પેનલે કહ્યું કે એવું માની શકાય નહીં કે બેંકને ફોનપે લિંક અંગે જાણ નહોતી. તેમજ નિયમો મુજબ ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં બેંક માટે ગ્રાહકને એસએમએસ ટોન ચેતવણી મોકલવી ફરજિયાત છે.

જેથી ગ્રાહકના રૂપિયા ઉપડી ગયા તેમાં ગ્રાહક નહીં પણ બેંકની સેવાઓ આપવામાં ખામી સ્પષ્ટપણે દેખાય છે. તેમ જણાવીને કમિશને એસબીઆઈ બેંકને ફરિયાદી ખાતાધારકને ૩૦,૦૦૦ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો. આ સાથે તેણે બેંકને માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ માટે વળતર રૂ.૫,૫૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

(7:47 pm IST)