Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નળસરોવરએ ગુજરાતનું મહત્‍વનું પરંતુ સૌથી વધારે દૂષિત જળાશય

નળસરોવર મુખ્‍ય મેનેજમેન્‍ટ સમસ્‍યાઓથી પીડાય છેઃ વન વિભાગનો રિપોર્ટ

નવી દિલ્‍હી,તા.૯: ગુજરાત વન વિભાગના જણાવ્‍યા પ્રમાણે, રાષ્ટ્રીય કક્ષાએ મહત્‍વ ધરાવતું અને શહેરના બહારના ભાગમાં આવેલું રામસર સાઈટ, નળસરોવર પણ સૌથી દૂષિત છે. ઈકોસિસ્‍ટમ રિસ્‍ટોરેશનના ૯૦૫ કરોડ રૂપિયાના જાપાન ઈન્‍ટરનેશનલ કો-ઓપરેશન એજન્‍સી ફંડ માટે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં વિભાગે ઉલ્લેખ કર્યો છે કે નળસરોવર સૌથી વધારે દૂષિત છે અને શિકારના કારણે સૌથી વધારે અસરગ્રસ્‍ત છે.
૨૦૧૯ના અંતથી ૨૦૨૦ની શરુઆતમાં કરવામાં આવેલા સર્વેમાં વન વિભાગે દાવો કર્યો છે કે, ૧થી ૫ સૂચકઆંક પર જયાં એક સૌથી નીચો છે, નળસરોવર પ્રદૂષણ અને શિકાર માટે ‘૫' તેમજ આક્રમક વનસ્‍પતિ પ્રજાતિ દ્વારા સંક્રમણ માટે ‘૪' સ્‍કોર કરે છે.
રિપોર્ટમાં વિભાગે દાવો કર્યો છે કે, નળસરોવર મુખ્‍ય મેનેજમેન્‍ટ સમસ્‍યાઓથી પીડાય છે, જેમાં ઉચ્‍ચ માનવીય દબાણ-પ્રદૂષણ, શિકાર, માછીમારી અને તેના કુદરતી સંસાધનો પર સ્‍થાનિક સમુદાયની ઉચ્‍ચ નિર્ભરતા સામેલ છે.
રાજ્‍યના પાંચ સૌથી નિર્બળ આદિવાસી સમાજમાંથી એક ‘પઢાર' નળસરોવરના આસપાસના ગામમાં રહે છે અને તેઓ તેમના દૈનિક જીવનનિર્વાહ માટે નળસરોવરના સંસાધનો પર વધારે આધાર રાખે છે. આ સિવાય, રામસર વેટલેન્‍ડ કેટલીક મુખ્‍ય સમસ્‍યાઓ અને મેનેજમેન્‍ટ માટેના પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં કચરો, અનિયંત્રિત રીતે વધી રહેલું ઘાસ, નળસરોવરના કિનારે જુલિફ્‌લોરાનો વિકાસ, પક્ષીઓનો શિકાર, ફંડની અછત અને સાઈટ માટે સ્‍ટાફનું અસરકારક સંચાલન.
નળસરોવર સ્‍થળનું મહત્‍વને આંકડા, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ‘ગુજરાત એ મોટા પ્રમાણમાં જળાશયના કારણે સ્‍થળાંતર કરતાં પક્ષીઓ માટે સેન્‍ટ્રલ એશિયન ફ્‌લાયવેનો ભાગ છે. નળસરોવર, ખિજડીયા, પોરબંદર, મરિન નેશનલ પાર્ક, મરિન વાઈલ્‍ડલાઈફ સેન્‍ચુરી, વાઈલ્‍ડ એસ સેન્‍ચુરી, કચ્‍છ ડેઝર્ટ સેન્‍ચુરી અને છરીદંડ વેટલેન્‍ડ કન્‍ઝર્વેશન રિઝર્વ PA સૂચિત જળાશય છે. રાજયના આઠ સરોવર રાષ્ટ્રીય સ્‍તરે મહત્‍વના સરોવર તરીકે જાણીતા છે', તેવો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્‍યો છે.

 

(10:13 am IST)