Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદની S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ : ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ શુક્લ

અમદાવાદ : કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરીક દેખાવો કરવા કરતા આંતરિક સુદ્રઢતા,આંતરિક શારીરીક મજબૂતી માટે પ્રેરયા છે.

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ઘેર-ઘેર, શેરીએ-શેરીએ, શહેરો અને ગામડાઓમાં, કોર્પોરેટ ઓફિસમાં એક પીણાનું સેવન અને ચલણ વધ્યુ છે ... તે છે ઉકાળા. આર્યુવેદિક ઉકાળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્તિવર્ધક સાબિત થયા છે.કોરોનાની પરિસ્થિતીમાં ભાગ્યે જ કોઇ ભારતીય હશે કે જેણે ઉકાળાનું સેવન કર્યુ ન હોય.

અમદાવાદની આયુર્વેદિક અખડાનંદ કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ ડૉ. રામ શુક્લા ઉકાળાની મહત્તા તેમાં રહેલા તત્વોના ગુણો તેની અસરકારકતા અને ઉકાળા બનાવવાની શ્રેષ્ઠ રીત વિશે કહે છે કે સરકાર દ્વારા 10 મૂલ અને પથ્યાદી ક્વાથ યુક્ત ઉકાળા તૈયાર કરવામાં આવે છે. 10 મૂલમાં બિલ્વ, અગ્નિમંથ, શ્યોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, પૃષ્ણપર્ણી, શાલપર્ણી, કંટકારી, બૃહતીનું મિશ્રણ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, શરીરના કોઇપણ ભાગમાં થયેલ સોજા, અને તાવ સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બને છે. જ્યારે પથ્યાદી ક્વાથ માં હરડે, બહેળા, આમળા, હળદર, લીમડો, અને ગળાનું મિશ્રણ ઉમેરીને બનાવવામાં આવે છે. જે માથાના દુખાવા અને તાવ માટે ખુબ જ અસરકારક છે. આ બંનેના મિશ્રણ થી ઉકાળો તૈયાર થાય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે સાથે અન્ય તકલીફોમાં પણ ઉપયોગી બને છે.

ઉકાળાની બનાવવાની રીત

એક ભાગ પાવડરમાં 16 ભાગ જેટલું પાણી લેવામાં આવે છે એટલે કે 16 લીટર પાણીમાં 1 કિ.ગ્રા ઉકાળો ઉમેરવામાં આવે છે જે 4 થા ભાગ જેટલું ન થઇ જાય ત્યાર સુધી તેને ઉકળવા દેવામાં આવે છે. જેનું ¾ ભાગનું પાણી બાળી નાખવામાં આવે છે અને બાકીના ભાગના ઉકાળાનું સેવન કરવામાં આવે છે ઉકાળો ગરમ પીવામાં આવે ત્યારે જ તે શરીર માટે ફાયદાકારક છે . ઠંડો કરેલા બજારમાં બોટલમાં તૈયાર મળતા ઠંડા થયેલા ઉકાળાની અસકરકારકતા ઓછી જોવા મળે છે.

અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી. હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાની માં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા-શુશ્રુષા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજ થી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.

અત્યાર સુધીમાં એસ.વી.પી. હોસ્પિટલના 1700 થી વધારે દર્દીઓએ 12000 હજારથી વધુ વખત ઉકાળાનું સેવન કર્યુ છે. દરરોજ 100 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સને ઉકાળાનુ વિતરણ કરાવવામાં આવે છે. જેના દર્દીઓ અને કોરોનાવોરીયર્સ તરફથી ખૂબ જ સકારાત્મક અને અસરકારક પ્રતિભાવો મળ્યા છે. આ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાએ ઘણાય કોરોના વોરીયર્સને કોરોના વાયરસથી સંક્રમિત થતા રોક્યા હોય તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.

(સંકલન : અમિતસિંહ ચૌહાણ)

(5:12 pm IST)