Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં બે દુકાનદાર વચ્ચે નજીવી બાબતે થયેલ તકરારમાં મામલો બિચક્યો

વડોદરા:નાગરવાડા વિસ્તારમાં બે દુકાનદરો વચ્ચે તકરાર થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ દાખલ થઇ છે. નાગરવાડા સૈયદપુરા નાકા પાસે પટેલ ફળિયામાં રહેતા અસંદ ઇલિયાસભાઇ દૂધવાલા કાર કન્ટ્રી નામની દુકાન ચલાવે છે.કારેલીબાગ  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે સવારે અગિયાર વાગ્યે હું મારી દુકાન પર હાજર  હતો.મારી  પાડોશમાં રહેતા ઉવેશ દૂધવાલા, ઉમર દૂધવાલા, ઉસામા દૂધવાલાની અંબર નામની ટાયરની દુકાન છે.તેણે ટાયરનું સ્ટેન્ડ મારી દુકાનની સામે રાખ્યો હોવાથી મારી દુકાનમાં કામ કરતા સલીમ પઠાણે સ્ટેન્ડ હટાવવા માટે કહેતા તેઓએ ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો.ત્યારબાદ સજ્જાદ યુનુસભાઇ મારી  પાસે આવી ઝઘડો કરવા લાગ્યા હતા.જેથી,મારી પત્ની રૃબીનાએ મારા સાળા અમીન મોહંમદભાઇ દૂધવાલાને ફોન કર્યો હતો.મારો સાળો આવતા સજ્જાદે મારા સાળાને માથાના પાછળના ભાગે લોખંડનો રોડ મારી દીધો હતો.ઉસામાએ પણ મારા સાળાને ટોમી મરી હતી.હું છોડાવવા વચ્ચે પડતા તેઓએ મને પણ માર માર્યો હતો.દરમિયાન આજુબાજુના લોકો  ભેગા થઇ  જતા અમને વધુ મારમાંથી બચાવ્યા હતા. જ્યારે સામા પક્ષે ઉવેશે અસંદ દૂધવાલા,અકીલ દૂધવાલા, ઇલિયાસ  દૂધવાલા, અમીન  દૂધવાલા અને મોહંમદ દૂધવાલા સામે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ટાયરના સ્ટેન્ડ બાબતે ઝઘડો થતા આરોપીઓએ ઝઘડો કરી લોખંડની પાઇપથી ઇજા પહોંચાડી હતી.કારેલીબાગ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:35 pm IST)