Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજપીપળા ખાતે રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં વિકાસ દિવસનો કાર્યક્રમ યોજાયો


(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે " વિકાસ દિવસ " અંતર્ગત ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ)  અને યાત્રાધામ વિભાગના  રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, જિલ્લા  ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર,જિલ્લાના અગ્રણી અનિરુદ્ધ સિંહ ગોહિલ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે"વિકાસ દિવસ" ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યની સાથે દેશનો વિકાસ કર્યો છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમની સામે જ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન હાંસલ કર્યું છે.નરેન્દ્રભાઈએ  નર્મદાના નીર  કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની સાથે નર્મદા જિલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનાવીને આદિવાસી યુવાનોને  ગાઇડ તરીકે રાખીને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.
રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ  વિકાસલક્ષી કામો હાથ ધરીને  રાજ્યને સર્વોત્તમ બનાવીને વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. સિંચાઈ, રોજગારી, એસ.ટી.વિભાગ, વિજ વિભાગ સહિત અનેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં લીધા હોવાની સાથે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને  ઘરનું ઘર મળી રહે તે માટે ગૃહ પ્રવેશ અને ખાતમૂહૂર્તના  કામો હાથ ધર્યાં છે.  "નલ સે જલ" યોજના અંતર્ગત છેવાડાના લોકોને ઘર આંગણે જ પાણી મળી રહે તે માટે  વર્ષ-૨૦૨૨ સુધીમાં રાજ્યના દરેક ગામડા ઓને "નલ સે જળ યોજના" દ્વારા પાણી મળી રહે તે પ્રકારની સરકારની નેમ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા અને જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

(12:09 am IST)