Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કોરોનાનાં કપરા કાળમાં પણ બેરોજગારી દર સૌથી નીચો

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન : વિશ્વ કોરોનામાં થભી ગયું જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે ગુજરાતમાં નવું આશાનું કિરણ જાગ્યું છે

સુરત,તા.૬ : મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનના નેતૃત્વમાં પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઉજવણી કરી રહી છે. ત્યારે આજે ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીઆર પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે ૬૨ હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા અને અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૨ હજાર યુવકો અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે અમારું લક્ષ્યાંક ૫૦ હજાર યુવકોને નોકરી મળે પરંતુ ૬૦ હજાર યુવકોને નોકરી મળી છે. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. દેશમાંથી સૌથી વધુ એપરેન્ટિસ્ટ ગુજરાતે આપ્યા છે. આજે આખું વિશ્વ કોરોનામાં થભી ગયું છે જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ગુજરાતમાં નવું આશાનું કિરણ જાગ્યું છે. આજે ૫૦૦૦૦ના બદલે ૬૨ હજાર લોકોને નોકરી મળી રહી છે.

  ગુજરાત તકની ધરતી છે, ભાજપ જે કહે છે તે કરે છે. અમે લોકસભાની ચૂંટણીમાં આપેલા વચન એક પછી એક પુરા કરી રહયા છીએ. જેમ કે કાશ્મીરમાં ૩૭૦ ની કલમ હટાવી, ૧૯૦૦૦ કરોડ ની ખરીદી કરી ખેડૂતોને સહાય કરી છે. કોંગ્રેસના લોકોને ચૂંટણીમાં બેકાર કરી દીધા છે. અમે ૨૦૮૫ રોજગાર મેળા કર્યા છે જેમાં આજે ૧૧૦૦૦ ના પ્લેસમેન્ટ આપી રહ્યા છીએ. ગુજરાતમાં ૨૫ લાખ મજૂર વસે છે. ગુજરાતમાં વધુમાં વધુ રોજગાર લાવવાનો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો છે. સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી છે. સુરતમાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવે છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો છે. રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે.

(9:08 pm IST)