Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

નડિયાદના સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્‍સવ યોજાતા સાકર વર્ષા થઇઃ સમાધિીની યાદમાં સાકર વર્ષાની પરંપરામાં 200થી વધુ સંતોની ઉપસ્‍થિતિ

લગભગ 1500 કિલો સાકર તથા 2500 કિલો કોપરાની ઉછામણી કરવામાં આવી

નડિયાદઃ નડિયાદના સંતરામ મંદિર ખાતે સંતરામ મહારાજની 192મી સમાધી મહોત્‍સવ નિમિતે સાકર વર્ષા યોજાઇ હતી. 200થી વધુ સાધુ સંતો તથા ભક્‍તો સાકર વર્ષા મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સંતરામ મંદિરમાં સાકર વર્ષાની ઉજવણી કરવામાં આવી છે. 192 વર્ષ પહેલા સંતરામ મહારાજે લીધેલી સમાધિની યાદમાં સાકર વર્ષાની પરંપરા આજે પણ યથાવત છે. પ્રસંગે 200થી વધુ સંતો સહિત દેશ-વિદેશના ભક્તોએ ઉજવણી કરી છે.

મંદિરની પરંપરાના ભાગરૂપે દર વર્ષે માહપૂર્ણિમાના અવસરે દિવ્ય સાકરવર્ષા પ્રતિકરૂપ કરવામાં આવે છે. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં ઢળતી સંધ્યાએ પૂ. મહારાજના હસ્તે ઉતારવામાં આવતી દિવ્ય મહાઆરતીના દર્શન કરવા શહેર સહિત સમગ્ર જિલ્લાના ભાવિક ભક્તજનો ઉમટી પડે છે. આરતી બાદ 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે મહારાજશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઉજવાય છે.

મહાપૂર્ણિમાના દિવસે વહેલી સવારે 4.30 કલાકે ધ્યાન, તિલક દર્શન 4.45 કલાકે બાદ મંગળા દર્શન સવારે 5.45 કલાકે અને સાંજે 6 વાગ્યે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી. દિવ્ય અખંડ જ્યોત અને પાદુકાના દર્શન સવારે 5.45 થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે. લગભગ 1500 કિલો સાકર અને 2500 કિલો કોપરાની ઉછામણી કરવામાં આવી.

 શું છે લોકવાયકા?

192 વર્ષ પહેલાં મહા પુનમના દિવસે સંતરામ મહારાજે જીવીત સમાધી લીધી હતી ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પ વર્ષા કરી હતી એવી લોકવાયીકા છે. જેથી 192 વર્ષથી સાકર વર્ષાની પરંપરા ચાલે છે. જેનો પ્રસાદ ગ્રહણ કરવા લાખો ભક્તો ઉમટતા હોય છે. વર્ષ માં એક વાર અહીં મંદિરમાં મહાઆરતી કરવા માં આવે છે. જેમાં આશરે 200 જેટલા સંતો દેશ-વિદેશથી સાકરવર્ષામાં આવે છે.

તો દેશ-વિદેશથી હજારો ભક્તો સાકરવર્ષામાં ભાગ લેવા માટે આવે છે. મહાઉત્સવમાં 1100 મણ સાકર અને 300 મણ કોપરું ઉછાળવામાં આવે છે. પ્રસંગે ત્રિદિવસીય મહા મેળાનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસમાં લગભગ 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સંતરામ મંદિરના દર્શન કરવા આવતા હોય છે.

 

(5:45 pm IST)