Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પિયુષ પટેલે ૫૫૦ સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાનો ધડાકો થયો

સ્ત્રીબીજ ડોનેટ કરાવવાના મામલામાં નવો ખુલાસો : પિયુષ પટેલના ક્લિનીક પર દરોડા :હજુ સુધી મહિલાઓ, એજન્ટોને ૧ કરોડથી વધુ રકમ ચૂકવાઇ હોવાનું અનુમાન

અમદાવાદ,તા. ૬ : શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીને સ્ત્રીબીજ ડોનેટ કરવા પૈસાની લાલચ આપી ઉશ્કેરી તેના સ્ત્રીબીજ કાઢી લીધા બાદ આડેધડ અપાયેલા ઇન્જેકશોને કારણે તેની બંને કિડની ફેઇલ થઇ જવાથી નીપજેલા મોતના ચકચારભર્યા પ્રકરણમાં રામોલ પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી ડોકટર ડો.પિયુષ પટેલના કલીનીક પર દરોડા પાડતાં ચોંકાવનારા  ખુલાસાઓ સામે આવ્યા છે. જે મુજબ, આ કેસમાં ધરપકડ કરાયેલા હોમીયોપેથી ડો.પિયુષ પટેલના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કલીનીક પરથી અત્યારસુધીમાં ૫૫૦થી વધુ મહિલાઓએ સ્ત્રીબીજ ડોનેટ કર્યા હોવાના દસ્તાવેજો પોલીસને મળી આવ્યા હતા. જેના આધારે પોલીસ માની રહી છે કે, ડો.પિયુષ પટેલે સ્ત્રીબીજ ડોનેટ કરનાર મહિલાઓ અને તેના એજન્ટોને અત્યારસુધીમાં એક કરોડ કે તેથી પણ વધુ રકમ આપી હોય. પોલીસે આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ડો.પિયુષ પટેલ આ પ્રકરણમાં ધરપકડ કરાયેલ મહિલા એજન્ટ ખુશબુ પરમાર અને વનિતા જેવા એજન્ટો મારફતે ગરીબ મહિલાઓને રૂ.૧૫ હજાર જેટલી રકમની લાલચ આપી સ્ત્રીબીજ ડોનેટ કરવા ઉશ્કેરતો હતો અને આ મહિલા એજન્ટોને કમીશન પેટે રૂ.બેથી ત્રણ હજાર આપતો હતો. પોલીસે વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પક કોમ્પલેક્ષમાં આવેલા ડો.પિયુષ પટેલના કલીનીક પર દરોડા પાડી મહત્વના દસ્તાવેજો અને પુરાવા કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી અને  હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમાર નામની યુવતી ૨૦૧૭માં  ખુશબુ, વનિતા, નીકી અને પિન્કીબહેન સાથે સંપર્કમાં આવી હતી, જેઓએ તેને રૂ.૧૫ હજારની લાલચમાં સ્ત્રી બ્રીજ આપવા ઉશ્કેરણી કરી હતી. સોનલ પરમાર ગત તા.૧૯-૩-૨૦૧૭ના રોજ ઘરેથી કેમ્પમાં જવાનું કહીને નીકળી હતી અને તા.૨૩ માર્ચ,૨૦૧૭ના રોજ તેણી ઘેર આવી હતી ત્યારે તેની તબિયત બહુ ખરાબ હતી. તેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઇ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પ કોમ્પલેક્ષમાં ડો.પિયુષ પટેલ અને ડો.નિસર્ગ પટેલની બોપલ સ્થિત નિશા વુમન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, તેણીની તબિયત વધુ બગડતાં તેને ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં પંદર દિવસ સુધી તેને આઇસીયુમાં દાખલ રાખવામાં આવી હતી એ પછી તેની તબિયતમાં સુધારો જણાતાં તેને રજા આપવામાં આવી હતી. દરમ્યાન સોનલ પરમારે તેના ફરિયાદી ભાઇને એ વખતે વાત કરી હતી કે, બાપુનગરમાં ગરીબનગરના છાપરામાં રહેતી ખુશ્બુબહેન પરમારે તેણીને લાલચ આપી હતી કે, જો તારે પૈસા કમાવવા હોય તો એક ડોકટર છે અને તું જો તું તારું સ્ત્રીબીજ આપીશ તો તને રૂ.૧૫ હજાર મળશે. ત્યારબાદ તેની ઓળખાણ વનિતા નામની એક મહિલા સાથે કરાવી હતી. તે તેણીને ડો.પિયુષ પટેલની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ડોકટરોએ તેને સ્ત્રીબીજના બદલામાં રૂ.૧૫ હજાર આપવાની લાલચ આપી હતી. બાદમાં તેને સોનોગ્રાફી બાદ દસ દિવસ સુધી ઇન્જેકશનો આપવામાં આવ્યા હતા અને વડોદરાને બદલે તેણીને કાનપુર લઇ જવાઇ હતી અને કાનપુરમાં તેનું સ્ત્રીબીજ કાઢી લેવામાં આવ્યું હતું. ઇન્જેકશનોના ઓવરડોઝના કારણે સોનલ પરમારની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર બનતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જયાં તા.૭-૧૦-૨૦૧૭ના રોજ મૃત્યુ થયુ હતું.

(8:04 pm IST)