Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગુજરાતના ગૌરવસમા એશિયાટિક સિંહોના સંવર્ધન-સંરક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ : વન મંત્રી ગણપતસિંહ વસાવા

રાજ્ય સરકારના પ્રયોગોને પરિણામે સિંહની વસ્તીમાં પાંચ વર્ષમાં ૨૯ ટકાનો વધારો:સિંહોના રક્ષણ માટે રૂા. ૩૩ કરોડના ખર્ચે ૪૩ હજાર કૂવાઓને પારાપેટ વોલ બનાવાઇ:દેશમાં સૌપ્રથમવાર સિંહો માટે ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત

અમદાવાદ :વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આ માટે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

વિધાનસભા ખાતે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૫માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે ૫૨૩ સિંહ હતા. જ્યારે વર્ષ ૨૦૨૦માં પુનઃ અવલોકન થયું તેમાં ૬૭૪ સિંહ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે, સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શક્ય બન્યું છે.
  આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકીંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને ૨૯૩ વન્ય પ્રાણી મિત્રો, ૧૬૦ હેકર્સ કાર્યરત કરાઇ છે.
  તેમણે ઉમેર્યુ કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્ત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલસ લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સીંગ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

(7:24 pm IST)