Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વડોદરા સામુહિક આપઘાત પ્રકરણઃ 40 લાખમાં મકાન વેચવાના ચક્કરમાં 45 લાખનું દેવુ થઇ ગયુ હતુઃ તેમાંથી બહાર નીકળવા 9 જ્‍યોતિષીઓએ 32 લાખ પડાવ્‍યા હતાઃ દાદાએ પૌત્રને ઝેર પીવડાવ્‍યુ હતુ

વડોદરા: વડોદરા સામુહિત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાવિન સોલંકીએ આપેલા નિવેદનમાં દેવાના ડુંગરમાં દબાઈ જતા સામુહિક આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં નરેન્દ્ર સોની ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા.આવક ઓછી હોવાથી તેમણે પોતાના મકાન પર અંદાજે 45 લાખની લોન અને વેચાણ પેટે મેળવ્યા હતા.પરંતુ તેમના મકાન પર પહેલાથી જ 15 લાખની લોન લીધેલી હોવાથી જેને મકાન વેચ્યું તેમના નામે દસ્તાવેજ ન કરી શક્યા.જેના લીધે સતત તણાવ વધતો ગયો અને ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા  હતા.સાથે ભાવિન સોનીએ જણાવ્યું કે, ‘સ્વાતિ સોસાયટીના માલિકીનું મકાન 40 લાખમાં વેચવાના ચક્કરમાં 45 લાખનું દેવું થઈ ગયું હતું. જેમાંથી બહાર નીકળવા માટે  મકાન વિધિ કરાવવાનું કહી 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા.જેથી મુક્તિના બદલે દેવું વધી ગયું હતું અને તેના જ કારણે આપઘાતનો નિર્ણય કર્યો હતો.જેથી નરેન્દ્ર સોનીએ બુધવારે પોતાના ઘર નજીકની એક દુકાનમાંથી પેસ્ટિસાઇડની બોટલ લાવી કોલ્ડ્રિંક્સમાં ભેળવી પરિવારને ઝેર આપ્યું..જેમાં પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જ જાતે આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાળકનો મૃતદેહ જોઈ સંબંધીઓનુ હૈયાફાટ રુદન

વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગગટાવવાના કેસમાં ત્રણના મૃત્યુ થયાં છે. આર્થિક સંકડામણે પરિવારના મોભીને આ પગલું ભરવા મજબૂર કર્યા અને તેમાં ત્રણ વર્ષના બાળકને જોઈ પરિવારજનોનું હૈયાફાટ રુદન હોસ્પિટલ પરિસરને ધ્રુજાવી ગયું હતું. બપોરે 3 વાગ્યા બાદ તેઓ પરિવારના તમામ સભ્યો અને પૌત્રને લઇને ઘરની પહેલા રૂમમાં બેઠા હતા અને ત્યાં પેપ્સી અને મિરિન્ડાની બોટલમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોલ્ડ્રિંક્સ કાઢ્યા બાદ પેસ્ટિસાઇડની 3 બોટલમાંથી દવા કાઢીને તેમાં ભેળવ્યા બાદ દરેક સભ્યે આ ઝેરી પીણું ગટગટાવ્યું હતું. પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જાતે જ આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા.

ફુલ જેવા બાળકનો શું વાંક હતો

વડોદરાના સમા વિસ્તારના સ્વાતિ સોસાયટીમાં એક પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવ્યા પછી 3 વર્ષના માસૂમ બાળક સાથે નીકળેલી અંતિમ યાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રુદન ત્યાં ઉપસ્થિત અન્ય લોકોને પણ કંપારી છોડાવ્યું હતું. પરિવાર આર્થિક તંગીમાં જીવતો હતો, તેની ભનક સુદ્ધા પરિવારના અન્ય લોકોને આવવા દીધી નહોતી. અને આ જ ચિંતામાં ઘરના મોભીએ મોતનો નિર્ણય લીધો હતો. તેઓએ પોતે તો ઝેરી દવા પીધી, પણ સાથે જ પરિવારના સભ્યોને પણ પીવડાવી દીધી હતી. મોતને ભેટેલા 3 સભ્યોની અંતિમ યાત્રા ગઈકાલે સયાજી હોસ્પિટલમાંથી એક સાથે નીકળી હતી. આ સમયે 4 વર્ષના બાળકને તેના મામાએ હાથમાં લીધો હતો. આ સમયે બાળકના નાના-નાની, મામા અને માસીએ હૈયાફાટ રુદન કર્યું હતું. અને કહ્યું હતું કે, 'અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો'.

અંતિમયાત્રામાં સ્વાતિ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખાસવાડી સ્મશાનમાં પિતા અને દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી. સોસાયટીમાં પરિવારનો એક પણ સભ્ય હાજર ન હોવાથી હોસ્પિટલમાંથી જ અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારની આર્થિક તંગી પાછળ જ્યોતિષીઓ જવાબદાર છે તે તપાસમાં ખુલાસો થયો છે.

પોલીસની લોકોને અપીલ, લોકો બુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણય લે

સામૂહિક હત્યાકાંડ મામલે વડોદરાની ડીસીપી ઝોન 4ના લખધીર સિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું કે, ભાવિનનું નિવેદન લેવાયું છે. 2018 માં સોની પરિવારે 40 લાખમાં મકાન વેચવા જાહેરાત આપી હતી. તેના બાદ હેમંત જોશી જ્યોતિષનો 2019 માં સંપર્ક થયો હતો. આ બાદ તેમણે 23 લાખની બેંક પાસેથી લોન લીધી હતી. આ સાથે જ વડોદરા પોલીસે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી કે, લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણય કરે. કોઈ જ્યોતિષે છેતરપિંડી કરી હોય તો પોલીસનો સંપર્ક કરો. ભાવિન સોનીએ પોલીસ સમક્ષ આપઘાતના પ્રયાસ બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. હાલ સારવાર લઈ રહેલી બે મહિલાઓની હાલત ગંભીર છે.

(5:28 pm IST)