Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સરકારી યોજનાઓ ઉદ્યોગ સાહસિકોની નવી પેઢી ઊભી કરવાનું વિઝન છે: નારાયણ રાણે

કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ અર્થતંત્રને બેઠું કરવા માટે ઔદ્યોગિક વાતાવરણને પોષણ આપવાના મહત્વ પર ભાર મૂક્યો

અમદાવાદ : કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ અર્થતંત્રને બેઠું કરવા માટે ઔદ્યોગિક વાતાવરણને પોષણ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ શનિવારે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદની મુલાકાત લીધી હતી અને ‘વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાને વેગ આપવામાં એમએસએમઇની ભૂમિકા’ પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઔદ્યોગિકરણ વધવાથી વધારે નવીન સમાધાનો પ્રસ્તુત થવાથી સમાજમાં સ્થિરતા આવે છે. આ યુવા પેઢીને રચનાત્મક રીતે વિચારવા અને તેમને સાહસ ખેડવા પ્રેરિત પણ કરે છે. એટલે એમએસએમઇની વૃદ્ધિ અને સ્થિરતા પર ભાર મૂકવો આવશ્યક છે. અત્યારે કેટલીક પ્રગતિશીલ સરકારી યોજનાઓ ઉદ્યોગ સાહસિકોની નવી પેઢી ઊભી કરવાનું વિઝન ધરાવે છે, જેઓ લઘુ ઉદ્યોગ સાહસો અને સ્ટાર્ટ-અપ્સ સ્થાપિત કરી શકે છે, ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે અને દેશના અર્થતંત્રને વેગ આપી શકે છે.”

હાલ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને ટેકો આપવા વિશે રાણેએ ઉમેર્યુ હતું કે, “વર્તમાન અને નવા એમએસએમઇ ઉદ્યોગ સાહસિકો લાભદાયક સ્થિતિ ધરાવે છે. હાલ કાર્યરત કેટલાંક ઇન્ક્યુબેશન સેન્ટર, પેટન્ટ ફાઇલ કરવાની સરળથા, વ્યવસાય સ્થાપિત કરવાની સરળતા અને કાયદેસર ઔપચારિકતાઓ સાથે સંબંધિત પ્રગતિશીલ યોજનાઓ, ધિરાણ, માર્કેટિંગ, બજારો, ટેકનોલોજી, બૌદ્ધિક સંપદા, માનવ સંસાધન વગેરે બહુ સરળ થઈ ગયું છે.

એમએસએમઇને વિચારો અને એનો અમલીકરણ વ્યવહારિક રીતે કરવાની જરૂરિયાત પર વિચારવાની જરૂર છે. કોઈ પણ સારા વિચારને સફળતા મળે એ માટે ઉત્કૃષ્ટ અમલીકરણ કરવું પડે છે.”

રાણેએ ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર ઇન્ડિયા રિપોર્ટ 2020-21 પણ જાહેર કર્યો હતો. ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર (જીઇએમ) સર્વે દુનિયામાં ઉદ્યોગ સાહસિકતાની કામગીરીનો સૌથી મોટો વાર્ષિક અભ્યાસ છે. જીઇએમ ઇન્ડિયા અભ્યાસ સુસ્થાપિત જીઇએમ રિસર્ચ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે, જે તમામ સહભાગી દેશોમાં સાતત્યતા ધરાવે છે અને ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાઓ પર પ્રસ્તુત વિવિધતાસભર પ્રાથમિક માહિતી આપે છે.

અત્યાર સુધી ઇડીઆઇઆઈએ 8 જીઇએમ રિપોર્ટ પ્રસ્તુત કર્યા છે. જીઇએમ ઇન્ડિયા રિપોર્ટ જીઇએમ ઇન્ડિયા કોન્સોર્ટિયમના સહિયારા પ્રયાસોનું પરિણામ છે, જે ભારતીય ઉદ્યોગ સાહસિકતાની હાલની સ્થિતિ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ છે. ઇડીઆઇઆઈ વર્તમાન જીઇએમ ઇન્ડિયા ટીમની લીડ સંસ્થા છે. જીઇએમ રિપોર્ટ 2020-21 કોવિડ-19ની વ્યવસાયોમાં પરિવર્તન અને અસર વચ્ચે દેશમાં ઉદ્યોગસાહગસિકતાની કામગીરી પર ઉદ્યોગ સાહસિકતાના પ્રવાહો અને રીતો પર પ્રકાશ ફેંકે છે.

આ પ્રસંગે ‘લૂમ ટૂ મોલ’ હેન્ડબુક પણ જાહેર કરવામાં આવી હતી. ઇડીઆઇઆઈ એચએસબીસી સાથે જોડાણમાં હેન્ડ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનો અમલ કરે છે. આ લાભદાયક પ્રોજેક્ટ છે, જેમાં વણકરોની ક્ષમતા ઊભી કરવામાં આવે છે તથા તેમની આવક વધારવામાં આવી છે તથા તેમને ઓડિશા, ગુજરાત, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને આસામ રાજ્યોમાં 6 ક્લસ્ટર્સમાં વિવિધ હસ્તક્ષેપો દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા પ્રેરિત કરવામાં આવ્યાં છે. હેન્ડબુક પ્રોજેક્ટ સંબંધિત હસ્તક્ષેપો અને વણકરોના વિકાસ વિશે જાણકારી આપે છે.

મંત્રીએ એમએસએમઇના ટેકાથી સંચાલિત ઇડીઆઇઆઈ કેમ્પસ પર નવરચિત સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને ‘ઇમર્જિંગ’, ‘ગ્રોઇંગ’ અને ‘સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ’ કેટેગરીમાં સ્ટાર્ટઅપ્સને ગુજરાત સ્ટાર્ટ અપ એવોર્ડ્ઝ 2021 એનાયત કર્યો હતો. (ઇડીઆઇઆઈ વિવિધ હસ્તક્ષેપો દ્વારા ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. ઇડીઆઇઆઈએ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ) વર્ષ 2016માં સ્થાપિત કર્યા પછી અત્યાર સુધી 72 સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કર્યા છે.)

(11:01 pm IST)