Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પરિણિતાની પતિ સહિત સાસરીયા સામે ત્રાસની રાવ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો બનાવ : પતિ ગુસ્સાવાળો સ્વભાવનો હોવાના કારણે અવાર નવાર ઝગડાઓ થતા રહે છે, પરંતુ મહિલા સંસાર ચલાવતી હતી

અમદાવાદ,તા.૩ : અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે. પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો.  શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૪૮ વર્ષીય મહિલા પોતાનાં પતિ અને ૨૧ વર્ષીય પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ વ્યવસાય કરે છે. ૧૯૯૬માં બંન્નેના લગ્ન થયા હતા. પતિ ગુસ્સાવાળો સ્વભાવનો હોવાના કારણે અવાર નવાર ઝગડાઓ થતા રહે છે. જો કે તે ગમે તેમ કરીને પોતાનો સંસાર ચલાવતી હતી. આટલું જ નહી પોતાના પુત્રના જન્મ બાદ જિયાણાના નાણા મળ્યા તેમાંથી ઘર ખરીદ્યું હતું અને પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. જો કે પતિ આમ છતા પણ સમજ્યો નહોતો અને સતત તેની સાથે માથાકુટ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત આ બધુ જ તેની નણંદ તથા જેઠ જેઠાણીના ઇશારે પતિ કરતો હતો. પતિ દારૂ પીને આવીને નાની નાની બાબતોમાં મહિલાને માર મારતો અને મારકુટ કરતો હતો. તું મને દીઠી પણ ગમતી નથી. તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવ. આ દરમિયાન પરસ્ત્રી સાથે તેના આડા સંબંધો હોવાનું પણ મહિલાને ખબર પડી હતી. આ અંગે નણંદને વાત કરી તો નણંદે મહિલાનો પક્ષ લીધોહ તો. જેઠને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, મારો ભાઇ તો પહેલાથી જ રંગીલો છે આવું તો રહેશે તને ફાવે તો તું રહે. નણંદે પણ ધમકી આપી કે, જેની સાથે સંબંધ છે તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મે જ તેની મિત્રતા કરાવી આપી. કારણ કે હવે તમારામાં રસ કસ રહ્યો નથી તેથી ભાઇને ક્યાંક તો સુખ મળવું જોઇએ. જેથી કંટાળેલી મહિલાએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

(8:42 pm IST)