Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

યાયાવર ચકલીના ઇલાજ માટે હિટર મુકી જીવ બચાવાયો

વડોદરામાં ઠંડીથી ઠુઠવાઇ ગઇ યાયાવર ચકલી : ડો.ચિરાગની પોતાની આવડત અને વિશેષ નિપુણતાથી અમૂલ્ય ગણાતું એવુ પક્ષીને લપેટીને હિટ થેરાપી આપી

વડોદરા,તા.૩ : હાલમાં બદલાતા જતા વાતાવરણને લીધે માણસ, પશુ અને પંખીને પણ તેની અસર પહોંચી છે. માણસો બીમાર પડે તો ૧૦૮ એમ્બ્યુલન્સ આવે અને જો કદાચ કોઈ પશુ કે પંખી બીમાર પડે તો કોણ આવે ? તો તેનો જવાબ છે રાજ્ય સરકારની કરુણા એમ્બુલન્સ - ૧૯૬૨ અને ફરતા પશુ દવાખાનાનાં પશુ ચિકિત્સકો. ગુરુવારે ડભોઇ તાલુકાની એમ્બ્યુલન્સ, ફરતું પશુ દવાખાનું સીમલીયાના વેટરનરી ડો. ચિરાગભાઈ પરમાર સાથે પાયલોટ તૌસીફભાઈ પઠાણ જેવો બપોરના સમયે સીમલીયા ગામમાં સારવાર માટે ગયા હતા, ત્યાં અચાનક ડો. ચિરાગભાઈની નજર એક પક્ષી પર પડી કે જે આકાશમાંથી ઉડતું ઉડતું જમીન પર પટકાયું હતું. આ પક્ષી જે ખુબ જ નાની એવી પ્રકારની ચકલી જેને સવૉલ્લો (તારોડિયું) જે ખુબ જ્વલેજ જોવા મળતું પક્ષી છે. આ એક માઇગ્રેટેડ પક્ષી છે. જે ફક્ત શિયાળામાં જ અમુક વિસ્તારમાં જોવા મળે છે. આ પક્ષી ડભોઈ નજીક વિદેશી પક્ષીઓના પિયર એવા વઢવાણા તળાવની આસપાસ જોવા મળે છે. ફરતા પશુ દવાખાનાની ત્વરિત ચિકિત્સા સેવાથી વઢવાણાની મહેમાન વિદેશી ચકલીને નવું જીવન મળ્યું.

            આ પક્ષીને વાતાવરણમાં જે ફેરફાર થઇ રહ્યો છે તેને કારણકે આ પક્ષીને શરીરના તાપમાનમાં અચાનક ઘટાડો થતાં જમીન પર પટકાયું હતું. કોઈ જીવદયા પ્રેમીએ ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા તાત્કાલિક કરુણા એમ્બ્યુલન્સ દ્વારા આ વિસ્તારના ફરતા પશુ દવાખાનાની ટીમનો સંપર્ક કરી સત્વરે પહોંચી પક્ષીની જરૂરી સારવાર કરવા જણાવ્યું હતું. ડો. ચિરાગ અને તેમની ટીમ ઘટના સ્થળે જઈને જોયું તો પક્ષી એકદમ શોકમાં (ઠંડીના આઘાતમાં)હતું. ડો.ચિરાગની પોતાની આવડત અને વિશેષ નિપુણતાથી આ અમૂલ્ય ગણાતું એવુ પક્ષી (સવૉલ્લો) ને રૂ મા લપેટીને તેને હિટ થેરાપી આપી અને એમ્બ્યુલન્સનું હિટર ચાલુ કરીને આશરે ૪૦ મિનિટ સુધી તેને જરૂરી થેરાપી કરીને તેને ઉડાડીને આ પક્ષીને એક નવું જીવનદાન આપ્યું હતું. ઓરનેઠોલોજિસ્ટ (પક્ષીશાસ્ત્રી) માટે આ એક મહત્વનો વિષય ગણાય અને આવા પક્ષીનો જીવ બચાવી એક વેટરનરી ડોક્ટરે અબોલ પક્ષીનો જીવ બચાવી જીવદયાનું સરાહનીય કાર્ય કર્યું છે.

(8:47 pm IST)