Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આઈશાના પતિ આરીફ પાસે ઝાલોરમાં 3 ભવ્ય મકાન અને 4 દુકાનો હોવા છતા દહેજભૂખ : માર પણ મારતો

આરીફને પોતાની મહિને 50 હજારની આવક : આઇશાના પિતાએ દોઢ લાખ આપ્યા છતાં અવારનવાર પૈસાની માંગણી કરતો

અમદાવાદ : આઈશાના સ્યુસાઈડ કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કોર્ટે આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ પુછ પરછમાં આરીફના આર્થિક રીતે સધ્ધર છે અને તેની ચાર દુકાનો અને ત્રણ ભવ્ય મકાનો છે. જો કે, સધ્ધર હોવા છતા તે આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો.

  આઈશાના કેસમાં તેના પતિની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરતું કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુમાં સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરીફની ઝાલોરમાં 4 દુકાનો અને ત્રણ ભવ્ય મકાનો છે. તેના પોતાની મહિને 50 હજારની આવક હતી. આરીફ અને તેના પિતા ઝાલોરમાં આવેલ માઈનિંગ ફેકટરીમાં નોકરી કરે છે. સારો પગાર હોવા છતાય આરીફ વારવાર આઈશાના પિતા પાસેથી પૈસાની માંગણી કરતો હતો. આઈશાના પિતા પૈસા આપવાની ના પાડતા ત્યારે ત્યારે તેના સાસરિયામાંથી પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું અને ત્રાસ આપવમાં આવતું હતું. આઇશાના પિતાએ કહ્યું હતું કે તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આઇશાના પતિએ પૈસાની માગણી કરતાં તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો

   આરીફને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 6 તારીખ સુધી તે રિમાન્ડ પર રહેશે. પોલીસ દ્વારા આઈશાએ જે અંતિમ વીડિયો બનાવ્યો તે બીજા કોઈને વાયરલ કર્યો છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરિફે આઈશાને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે કે નહિ? વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે નહિ? એ તપાસ બાકી છે. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. આઈશાને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી છે, તેમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયું છે કે નહિ? એ બાબતે વિગતવાર તપાસ કરવાની બાકી છે. તમામ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે. અંતે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

2 માર્ચે પોલીસ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ.દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

આઈશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ એમ કહેતાં આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

(5:56 pm IST)