Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

લોકાર્પણ વિના ધૂળ ખાતી બે વર્ષથી બનેલી ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલનો દર્દીઓને ક્યારે લાભ મળશે

નવી હોસ્પિટલ તો બનાવી પરંતુ ડોક્ટર સહિત સ્ટાફની ખાલી જગ્યાને કારણે ધૂળ ખાતા અદ્યતન સાધનો: 305 જેટલા ગામોની સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આદિવાસી બાહુંલ્ય ધરાવતા ડેડીયાપાડા ખાતે ચાર વર્ષ પહેલાં ખાત મુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી અટવાયું છે. બે માળની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે તંત્રને કોઈ શુભ મુહૂર્ત ન મળતું હોય એવું લાગી રહ્યું છે. 305 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે.

  આ અદ્યતન બિલ્ડિંગમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે. પણ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતા લોકોને તેનો ફાયદો મળી રહ્યો નથી. અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય  તાલીમબદ્ધ ટેક્નિશિયન ની ભરતી ન કરાતા આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે. તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે. પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપલા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે. અકસ્માતના કિસ્સામાં એક્સ રે કઢાવવા માટે દર્દીઓએ અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગ માંથી આવતા આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. માટે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી સેવાઓ જલ્દી તેમને ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ જલ્દી થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલ્દી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
= ધારાસભ્યની તાળા મારવાની ચીમકી બાદ પણ લોકાર્પણ નહિ
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટાયા બાદ નવમા દિવસે જ તેમના દ્વારા ડેડિયાપાડા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે એક મહિનામાં નવા સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન અપાય અને પૂરતો સ્ટાફ ભરવામાં ન આવે તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવામાં આવશે. તેમજ નવ નિર્મિત સરકારી સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ એક મહિનામાં ન થાય તો પ્રજાના તમામ પક્ષના પ્રતિનિધિઓને બોલાવી સાથે લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ધારાસભ્યની ચીમકીની પણ તંત્રને કોઈ જ અસર ન થઇ હોય એમ લાગી રહ્યું છે.
= મુખ્ય ડોક્ટરો તેમજ સ્ટાફની જગ્યાઓ ખાલી
હાલમાં ચાલતી 50 બેડની જૂની સિવિલ  હોસ્પિટલમાં અધિક્ષક વર્ગ - 1 ના કુલ 6 સહિત અન્ય સ્ટાફ મળી કુલ 12 જેટલા સ્ટાફની જગ્યા ખાલી છે. જ્યારે નવી હોસ્પિટલ શરૂ થાય તો 100 બેડની નવી સિવિલ હોસ્પિટલ માટે 7 જેટલા વર્ગ - 1 ના નિષ્ણાત ડોક્ટરો, 5 જેટલા વર્ગ- 2 ના નિષ્ણાત ડોક્ટરો, તેમજ 35 જેટલી વર્ગ - 3 માટેની જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત સ્વીપર સ્ટાફ તેમજ સિકયુરિટી સ્ટાફની જગ્યાઓ પણ ખાલી છે. આ તમામ સ્ટાફની જગ્યાઓ ભરવામાં આવે તો સામાન્ય લોકોને નવી હોસ્પિટલની તમામ સેવાઓનો લાભ મળી રહે એમ છે.
આ બાબતે ફુલસિંગ વસાવા. સામાજિક આગેવાન એ જણાવ્યું કે પ્રસુતિના અમુક ગંભીર કેસો માટે પૂરતી સગવડ અને ડોક્ટર ન હોવાને કારણે ઝઘડિયા કે રાજપીપલા દર્દીને રીફર કરી દેવામાં આવે છે. જેને કારણે જન્મ લેનાર બાળક કે સગર્ભા માતાના રસ્તામાં જ મોત થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. વાહન અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલાને પૂરતી સાધનો તેમજ સેવાઓ ન હોવાને કારણે  સુરત કે વડોદરા રીફર કરી દેવામાં આવે છે. જેને કારણે રસ્તામાં મોતના કિસ્સાઓ વધતા જાય છે. શહેરોમાં મોંઘી દવા અને સારવાર માટે પૈસા ખર્ચવા પડે છે. જલ્દી બધી સુવિધાઓ ઘર આંગણે તાલુકા મથકે મળી રહે તો સારું.

(10:40 pm IST)