Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વલસાડમાં તરૂણી પર બુકાનીધારી કટરથી જીવલેણ હુમલો કર્યો

વલસાડ:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલના લબરમુછીયા કિશોરોની મારામારીના કિસ્સા બહાર આવી રહ્યા છે. સ્કુલની બબાલની અનેક ઘટના પોલીસ મથકે પણ પહોંચી છે. એવી જ એક ઘટના તરૃણી સાથે બની છે. આ તરૃણીને પહેલા ચિઠ્ઠી મારફતે જાનથી મારી નાખવાની ધમકી બાદ તેના ઘરમાં જઇ બુકાનીધારી તરૃણીએ તેના પર કટર વડે હુમલો કરી ફરાર થઇ જતાં નગરમાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડમાં રહેતી અને જાણીતી ગુજરાતી માધ્યમની શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી આયશા (નામ બદલ્યું છે)ના બુટમાં ૧૫ દિવસ પહેલાં કોઇ જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મુકી ગયું હતું. આ પત્રમાં તેના પર તા.૧ જાન્યૂઆરીના રોજ હુમલો થવાની ચેતાવણી પણ આપી હતી. જોકે, આ ચીઠ્ઠીને આયશાએ અવગણી હતી. પણ ચીઠ્ઠીના લખાણ મુજબ તેણી પર હુમલો થયો છે. તા.૧ જાન્યૂઆરીને સોમવારના રોજ સમી સાંજે તેની માતા કોઇ સંબંધીને ત્યાં ગઇ હતી. અને આયશા ઘરમાં એકલી હતી. ત્યારે એક યુવતિ મોઢા પર બુકાની બાંધી તેના ઘરમાં આવી હતી. આયશાના હાથ બાંધી દઇ તેને મરજા તં, મરજા એમ કહી તેના હાથ પર કટરથી હુમલો કરી ફરાર થઇ ગઇ હતી. આ ઘટના બાદ આયશાની માતા ઘરે આવી ત્યારે તેણે આયશાના હાથ ખોલ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં આયશાએ વલસાડના જ એક યુવાન સાથે તેની દોસ્તી હોવાની વાત જણાવી હતી. જોકે, આ ઘટનામાં તેના મિત્રનો હાથ છે કે નહી ? તેનો કોઇ ઉલ્લેખ ફરિયાદમાં નથી. પોલીસે આ ઘટના સંદર્ભે અજાણી યુવતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનું રહસ્ય હજી અકબંધ છે ત્યારે ઘટના પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

 

 

(4:28 pm IST)