Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લવજેહાદને નાથવા કાયદામાં સખ્ત સજાની જોગવાઈ કરાશે

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન : ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આરંભ, ૧ એપ્રિલ સુધી ચાલશે, ધર્મ સ્વાતંત્ર્ય વિધેયકમાં ખાસ સુધારો કરાશે

ગાંધીનગર,તા.૨ : રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમવારે જણાવ્યું હતું કે, લવ જેહાદના જોખમને નિયંત્રણમાં રાખવા વિધાનસભાના બજેટ સત્રમાં સુધારા સાથેનું ધર્મ સ્વાતંત્ર્ય બિલ રજૂ કરવામાં આવશે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લવ-જેહાદને નાથવા અને રાજ્ય સરકારો કાયદો લાવી છે ત્યારે વિધાનસભામાં વર્તમાન બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર પણ ધર્મ સ્વતંત્રતા કાયદામાં કડક જોગવાઈઓ કરતું વિધેયક પસાર કરાવવાનું નક્કી કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, લવજેહાદના નામે હિંદુ નામ ધારણ કરીને દીકરીઓ અને બહેનોને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ઈરાદાથી કરાતા આંતર ધર્મિય લગ્નો કે બળજબરીથી કરાતા લગ્નો અટકાવવા સખત જોગવાઈ કરતો કાયદો રાજ્ય સરકાર લાવશે. આ માટે ધર્મ સ્વાતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવજેહાદની વધતી જતી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં કડક જોગવાઈઓ સામેલ કરાશે.

પ્રદીપસિંહે જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુલેહ અને સોહાર્દનું વાતાવરણ એ જ અમારે નિર્ધાર છે, તંદુપરાંત પ્રજાજનોની સુખાકારી તથા આશા આકાક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય વિધેયકો લાવવામાં આવશે. સત્રના કામકાજના છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. થોડા દિવસ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ રૂપાણીએ ગોધરા અને સંખેડામાં ચૂંટણી સભા સંબોધતી વખતે લવજેહાદ મુદ્દે આક્રમક તેવર બતાવ્યા હતા. હિન્દુ છોકરીઓને ઉઠાવી જાય તે હવે નહીં ચલાવી લેવાય તેમ કહી મુખ્યમંત્રીએ આગામી સત્રમાં લવજેહાદનો કાયદો લાવવા માટે પ્રયત્ન કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યના વિધાનસભાના મહિનાઓ સુધી ચાલનારા બજેટ સત્રની શરૂઆત સોમવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગૃહમાં સંબોધન સાથે થઈ હતી. નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. બજેટ સત્ર ૧ એપ્રિલ સુધી ચાલુ રહેશે.

(9:32 pm IST)