Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: બે બંધ મકાનને નિશાન બનાવતા લોકોએ પથ્થરમારો કર્યો

નડિયાદ:શહેરમાં તસ્કરીના બનાવો વધતા જાય છે. ખાસ કરીને તસ્કરો બંધ મકાનને નિશાન બનાવતા હોય છે. ગત રાત્રીએ નડિયાદના વાણીયાવડ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ બે સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવ્યા હતાં. તસ્કરી દરમિયાન પાડોશી જાગી જતાં તેમના પર પથ્થર વરસાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો. મોડી સાંજ સુધી આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ ન હતી.

મળતી માહિતી મુજબ નડિયાદના વાણીયાવડ વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીના મકાન નં ૪ના માલિક અશ્વિનભાઈ ચીમનભાઈ શાહ એન.આર.આઈ હોઈ તેઓ વિદેશમાં રહે છે. જેથી ગત મોડી રાત્રિએ તેઓના બંધ મકાનમાં પ્રવેશી તસ્કરોએ ચોરી કરી હતી. ઉપરાંત બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીના બંધ મકાન નં ૭/એને પણ નિશાન બનાવ્યું હતું. તેમાંથી પણ સોના-ચાંદીના દાગીના વગેરે લઈ ગયા હતા. આ મકાનની બાજુમાં રહેતા પાડોશી જાગી જતાં તસ્કરોએ તેમના મકાન પર પથ્થરો વરસાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આમ તસ્કરોએ ગતરાત્રી દરમિયાન પોતાનો કસબ અજમાવ્યો છે. ચોરીના આ બનાવ બાબતે આ લખાય છે ત્યારે કાઈ ફરીયાદ નોંધાઈ નથી. જેથી મકાનમાંથી કેટલી મત્તા ગઈ તે જાણી શકાયું નથી.

(5:16 pm IST)