Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગુજરાતનો પવિત્ર ત્રિવેણી સંગમ વેરાનઃ નર્મદા નદી સાવ સૂકાઇ ગઇ

સ્થાનિક પંડિતો, વેપારીઓ અને બોટ ધારકોના ધંધા - વેપાર ઠપ્પ : દરિયા જેટલો વિશાળ પટ રેતીના મેદાનમાં ફેરવાયો

નવી દિલ્હી તા. ૩ : ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીનો સરસ્વતિ નદી સાથે જે જગ્યાએ મેળાપ થાય છે તે ત્રિવેણી સંગમનું સ્થળ એટલે ચાણોદ ગામ જયાં આવેલ આ સંગમ સ્થળને અતિશય પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

ત્રિવેણી સંગમના આ સ્થળે અંતિમ સંસ્કારની વિધી પૂર્ણ કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા છે. જોકે હિંદુઓની આસ્થાનું આ કેન્દ્ર હાલ મરવાના વાંકે ઉભુ હોય તેવું લાગી રહ્યું છે.

નદીની કાળજી માટે કોઈ જાતની વ્યવસ્થાના અભાવે અને તંત્ર દ્વારા કરવામાં આવતા દુર્લક્ષ્યથી અહીં આવેલી વિશાળ નર્મદા નદી માત્ર રેતીનો ખાલી પટ રહી ગઈ છે. નદી સુકાવવા લાગતા તેના આધારે ચાલતું સમગ્ર જનજીવન અસ્ત થવાના આરે છે.

નદીના પટમાં પાણી ન હોવું અને ગંદકીથી પ્રવાસીઓની અને ધાર્મિક કાર્ય માટે આવતા લોકોની સંખ્યા ઘટી છે. જેની અસર અહીં પંડિતનું કામ કરતા બ્રાહ્મણો, નાના-મોટા સ્ટોલ્સ ધરવતા વેપારીઓ અને નદીમાં પ્રવાસીઓનો બોટિંગ કરાવી ત્રિવેણી સંગમ સુધી લઈ જતા બોટ ચાલકો તેનો ભોગ બની રહ્યા છે.

અહીં આવેલ પવિત્ર ઘાટ પર ચાનો સ્ટોલ ધરવાતા એક સ્થાનિક કહે છે કે, '૧૧ વર્ષ પહેલા મારા પતિના મૃત્યુ બાદ હું અહીં ચાનો સ્ટોલ ચલાવું છું. આજપી પાંચ વર્ષ પહેલા સુધી મને કયારેય આર્થિક ચિંતા રહેતી નહોતી પરંતુ હાલ પાછલા ૨ મહિનાથી હું મારુ અને મારા બે બાળકોનું પેટ ભરી શકવા માટે પણ પૂરતું કમાઈ શકતી નથી.'

આવું જ કહેવું છે ત્યાં હાજર રહેલા એક સ્થાનિક પંડિતનું, ૭૦ વર્ષીય પંડિત કહે છે કે, 'વધુ પહેલાની વાત નહીં કરું પરંતુ ૨ વર્ષ પહેલા જ એવો સમય હતો કે હું રોજ દિવસ દરમિયાન ૮-૧૦ જેટલી વિધિ કરાવતો હતો જેનાથી મારુ અને પરિવારનું ગુજરાન ચાલતું હતું. આજે મહિનામાં ૧-૨ વિધિ માટે યજમાન મળે છે.'

વૃદ્ઘ પંડિત કહે છે કે, 'અહીં નર્મદા મૃતપાય થઈ ગઈ છે. જેના કારણે લોકો હવે ધાર્મિક વિધિ માટે આવતા નથી. મારા જેવા અનેક બ્રાહ્મણો આજે આજીવિકાના અભાવે રોજગાર વગરના બન્યા છે.' આ સ્ટોલથી માત્ર થોડા જ ડગલા દૂર આવેલી મહાનદી નર્મદાને જોતા તેમનું વાકય મૃતપાય નર્મદા એકદમ જ સાર્થક લાગે છે.

જયાં સુધી નજર પહોંચે તેટલો વિશાળ દરિયા જેટલો મોટો પટ ધરાવતી નર્મદામાં ફકત રેતી અને કચરાના ઢગ દેખાય છે. નદીના આટલા મોટા પટમાં માત્ર ૨૫ ફિટ જેટલી લાંબી એક ચેનલ જ છે જેમાં માંડ ઘૂંટણ ડૂબે તેટલું પાણી છે. જેના કિનારે ડઝન જેટલી બોટ એ આશમાં ઉભી છે કે કોઈ પ્રવાસી આવે અને તેમને નદીના મધ્યમાં જયાં ત્રિવેણી સંગમ છે ત્યાં સુધી લઈ જવાય.

જોકે આ નાનકડી ચેનલ જેમાં પાણી છે તે પણ ખોદીને બનાવવામાં આવી છે. આ જગ્યાનો ફોટો ગુજરાત ટુરિઝમની સાઇટ પર જોઈને કોઈ અહીં આવે તો તે માનવા જ તૈયાર ન થાય આ ચાણોદ-નર્મદા ઘાટ છે. સરકારી વેબસાઇટ પર બંને કાઠે ભૂરપુર પાણી સાથે વહેતી નર્મદા જોવા મળે છે જયારે અહીં સુક્કીભઠ્ઠ નદી.

પવિત્ર ગણાતા આ સ્થળ પર ૬ મુખ્ય ઘાટ છે, બદ્રીનારાયણ ઘાટ, નંદેરિયા ઘાટ, મારવાડી ઘાટ, ચક્રતિર્થ ઘાટ, કપિલેશ્વર મહાદેવ ઘાટ, જીવનનાથ ઘાટ અને સંગમ ઘાટ આ ઉપરાંત ડઝનથી વધુ પૈરાણીક મંદિરો પણ આવેલા છે.

આ ઘાટો પર પાંચ વર્ષ પહેલા ૨૦૦ જેટલા હિંદુ પુજારીઓ અને ૧૨૦૦ બોટ ધારકો પોતાનું જીવન વ્યાપન કરતા હતા. આજે તેમના સામે સૌથી મોટો પ્રશ્ન પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે છે. એક બોટમાં નાવિક તરીકે કામ કરતો સ્થાનિક કહે છે કે, 'મને એ ડર સતાવી રહ્યો છે કે જો આવું જ રહ્યું તો આગામી ૧-૨ વર્ષમાં અમે સંપૂર્ણપણે બેકાર થઈ જઈશું.'

સ્થાનિકો આરોપ મુકે છે કે એક તરફ નદીમાં ચોખ્ખા પાણીની અછત છે તો બીજીબાજુ ગામનું ગંદુ ગટરનું પાણી કોઈપણ જાતના શુદ્ઘીકરણ વગર સીધુ જ પવિત્ર ઘાટોની વચ્ચેથી નદીના પટમા ઠાલવવામાં આવે છે. જેના કારણે આસપાસ એટલી ગંદી વાસ આવે છે કે કોઈ યાત્રાળુ ત્યાં ઉભા રહેવા માટે તૈયાર નથી.

હવે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે કરનાળી અને ચાણોદ ત્રિવેણી સંગમ પાસે આવેલ આ બંને ગામ ગુજરાતથી રાજયસભાના સાંસદ અને દેશના નાણાંપ્રધાન અરુણ જેટલીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધા છે.

જયારે આ અંગે ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઈ ધ્રુવ કહે છે કે, 'જયાં સુધી પાણીનો પ્ર' છે તો અમે કંઈ કરી શકીએ નહી. અમારા પર ઘાટ અને તેની આસપાસના વિસ્તારને મેનેજ કરવાની જવાબદારી છે. જેના અનુસાંધાને પ્રવાસીઓ તથા યાત્રાળુઓને ફેસિલિટી મળે તેમજ ઘાટ વધુ ડેવલોપ કરવા માટે અમે પ્લાન ધરાવીએ છીએ.'

જયારે જે જગ્યા એક સમયે બોટમાં બેસીને જ જવું પડતું હતું તેવી નદીના મધ્યમાં આવેલ ત્રિવેણી સંગમના સ્થળે આજે યાત્રાળુઓ ૨ કિમી જેટલું નદીના પટમાં ફેલાયેલ ગંદકી વચ્ચે ચાલીને જઈ શકે છે. અહીં આવેલ કુબેર ભંડારીના મંદિરના દર્શન માટે લોકો પહેલા બોટ મારફત જતા હતા.(૨૧.૨૯)

(3:47 pm IST)