Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બામણબોરની પાસે એમોનિયા ભરેલું ટેન્કર પલટતાં ગેસ લિકેઝ

રાજકોટ-અમદાવાદને જોડતા નેશનલ હાઈવેની ઘટના : ફાયર બ્રિગેડ અકસ્માતના સ્થળે પહોંચી લીકેજથી થતી જોખમી અસર ટાળવા પાણીનો મારો ચલાવ્યો હતો

અમદાવાદ, તા.૨ : રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર (તા. ચોટીલા) નજીક એક એમોનિયા ભરેલું ટેક્નર પલ્ટી ખાઈ જતાં જોખમનું વાતાવરણ સર્જાયું હતું. ટેક્નરમાંથી એમોનિયા લીકેજ થયું હોવાના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અકસ્માતના સ્થળે પહોંચી ગયું હતું અને લીકેજથી થતી જોખમી અસર ટાળવા માટે તેના ઉપર પાણીનો મારો હાથ ધરવામાં આવ્યો હતો. સાથે જ લીકેજના કારણે ટ્રાફિક ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. પ્રભુ ફાર્મ પાસે બનેલી આ દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતા જાનહાનિ ટળી હતી. ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન બાદ હાઈવે પરિવહન પૂર્વરત કરવામાં આવ્યું હતું. એમોનિયા એક જીવલેણ ગેસ છે અને તેના કારણે લોકોના જીવન ઉપર ખતરો પેદા થઈ શકે છે. એમોનિયા ગેસના સ્વરૂપે જે દિશામાં પવન હોય એ તરફ ઉડે છે. એકદમ ઠંડો ગેસ હોવાના કારણે એ ચામડીના સંપર્કમાં આવે તો તે દઝાડે છે પણ જેને અસર થઈ હોય તેને થોડી પળો પછી તેની જાણ થાય છે.

 

(8:05 pm IST)