Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સુરત મનપાનો નવતર પ્રયોગ :લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખ્યા :મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી

પાલિકાએ લગ્નસ્થળ પર આપી ધન્વંતરી રથની સુવિધા:દવાની જરૂર હોય તો આપશે નિઃશુલ્ક દવા

સુરત : મહાનગરપાલિકાએ લગ્ન પ્રસંગમાં કોરોનાના લક્ષણ વિના આવતાં લોકોના ટેસ્ટ કરાવી શકાય તે માટે ધન્વંતરી રથની સુવિધા આપવા માટેની તૈયારી બતાવી છે. આ સુવિધા કોરોના ફેઝ 2માં લોકોને મળી રહે એ હેતુસર શરૂ કરવામાં આવી છે હાલ જ લગ્ન સિઝન શરૂ થઇ છે. કોરોના ગાઈડલાઈન મુજબ આમ તો પ્રસંગ માં 100 જેટલા મહેમાનો ભેગા થઈ શકે. પરંતુ લગ્નમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટનસિંગ રાખતા નથી અને માસ્ક પહેરતા નથી. સુરતમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે.

હાલ શરૂ થયેલી લગ્ન સિઝનમાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે. જો વર કે, વધુ પક્ષને લગ્ન પ્રસંગમાં ભેગા થતાં લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો પાલિકાએ સ્થળ ઉપર ધન્વંતરી રથ મોકલવા માટેની તૈયારી બતાવી છે. આ અંગે સુરત મહાનગર પાલિકાના મ્યુનિસપિલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, પાલિકાએ લગ્નના આયોજન કરનારાઓને અપીલ કરી છે કે, લગ્નપ્રસંગમાં આવતાં મહેમાનોને જો શરદી-ખાંસી કે, અન્ય કોઈ લક્ષણ જણાય અથવા કોઈ પોતોનો કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છતું હોય તેવા લોકોને ત્યાં લગ્ન સ્થળે જ પાલિકા ધન્વંતરી રથની સુવિધા આપશે. આ સાથે જો દવાની પણ જરૂર હોય તો નિઃશુલ્ક દવા આપવામાં આવશે.

(8:24 am IST)