Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

શાહપુરમાં ચાલતા ઝઘડામાં છોડાવવા પડેલા યુવકની હત્યા

છાતીમાં ઘા વાગતા લોહીના ફુવારા ઉડ્યા : યુવક સિલાઈનું કામ પુરું કરી રાત્રે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાલી રહેલા ઝઘડામાં વચ્ચે છોડાવા જતા ક્રૂર હત્યા

અમદાવાદ, તા. ૧ : શહેરના શાહપુરમાં રોડ પર ચાલતા ઝઘડામાં વચ્ચે પડી બધાને છોડાવવા જનાર યુવકની બેરહેમીથી હત્યા કરવામાં આવી. યુવક પર આરોપીઓ એ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખતા શાહપુર પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે ખેલાયા ખૂની ખેલના પગલે અમદાવાદના આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં પોસ્ટ મોર્ટમ રૂમ બહાર પરિવાર ના સભ્ય અને પોલીસ મૃતદેહ ની રાહ જોઈ રહ્યા છે. કેમ કે જહીરૂદિન સૈયદની ગઈ રાત્રે શાહપુર મા છરી મારી હત્યા કરી નાખવામાં આવી છે. જેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. ગઈ રાત્રે ૩૩ વર્ષીય ઝહીરૂદીન સૈયદ જે સિલાઈકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો, તે પોતાનું કામ પૂરું કરી ઘરે આવી રહ્યો હતો. ત્યારે મૃતકના મહોલ્લામાં ફિરોઝ ,આયુબ ,રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા અને મૃતક આ ઝઘડો શાંત કરવા વચ્ચે પડી મામલો થાળે પડી રહ્યો હતો.

ત્યારે જ ફિરોઝ અને આયુબ એ મૃતક ને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતી ના ભાગે છરી નો ઘા માર્યો હતો. જેના કારણે મૃતક નું ઘટના સ્થળ પર જ મૃત્યુ થવા પામ્યું હતું. આરોપીઓએ એટલી ક્રૂરતા પૂર્વક છરીના ઘા માર્યા હતા કે મૃતકને છાતીમાંથી લોહીના ફુવારા નીકળવા લાગ્યા હતા. પરિવાર ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ઝહીરૂદિન ને હોસ્પીટલ માં ખસેડવામા આવતા ડોકટર એ મૃત જાહેર કર્યો હતો અને શાહપુર પોલીસે તાત્કાલિક હત્યા મા સંડોવાયેલ ત્રણેય આરોપી ની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે આ આરોપીઓ અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા જે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આમ એક ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને સારપનો બદલો મોતથી મળ્યો છે. તેણે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે આ ઝઘડામાં તેનો જ જીવ જતો રહેશે. જોકે, અમદાવાદ શહેરમાં આ પ્રકારના ખૂની ખેલના પગલે ખલબલી મચી છે.

(8:38 pm IST)