Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ધો. ૬થી ૮ની શાળાઓ શરૂ

કાલથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે : રજાઓમાં મંદિરો-પ્રવાસન સ્થળો પર ભારે ભીડ ઉમટી હતી, ભીડની અસર આગામી ૧૫ દિવસમાં જોવા મળશે

અમદાવાદ,તા.૧ : રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ ધોરણ ૬થી ૮ની શાળાઓ હવે ૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. માતાપિતા પોતાના બાળકને શાળાએ મોકલવા અસમંજશમાં છે.  કોરોનાની ત્રીજી લહેરની દહેશત યથાવત છે એવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શુ સાવચેતી રાખવી પડશે અને ડૉક્ટર્સ શુ અપીલ કરી રહ્યા છે તે જાણવું જરૂરી છે. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે, શાળાઓમાં ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ આટલો લાંબો સમય માટે બંધ રહ્યું હોય. ૨૨ માર્ચ ૨૦૨૦થી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી બાળકોએ ઓનલાઇન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. જોકે ઓનલાઇન શિક્ષણ કેવું રહ્યું તે સૌ કોઈ જાણે છે. હાલમાં કોરોનાના કેસ નહિવત સામે આવતા રાજ્ય સરકારે ધોરણ ૬થી ૮ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે પ્રિ પ્રાયમરી એજ્યુકેશન અને ધોરણ ૧થી ૫ની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હજુ બંધ છે. અને તે આ વર્ષે શરૂ થશે કે કેમ તેના પર પણ પ્રશ્નો છે. જોકે હાલમાં ધોરણ ૬થી ૮ની શાળાઓ શરૂ થઈ રહી છે તેવામાં  બાળકોના માતા પિતા કેટલા તૈયાર છે. જેમાં વાલીઓ આ ઓફલાઇન શિક્ષણ સાથે સહમત તો થયા છે પરંતુ કોરોનાનો ડર હજુ પણ તેમનામાં યથાવત છે. વાલીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓનો વિકાસ ઓફલાઇન શિક્ષણથી જ થાય છે. ઓનલાઇન માત્ર શિક્ષણનો વિકલ્પ બનીને રહી ગયો છે. જેથી બાળકોને શાળાએ મોકલવા જરૂરી છે. જોકે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની હેલ્થ બાબતે સાવચેતી રાખવામાં આવે તે જરૂરી. તો કેટલાક વાલીઓ માની રહ્યા છે કે, હાલમાં જ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે. આ તહેવારોની રજાઓમાં મંદિરો અને પ્રવાસન સ્થળો પર ભારે ભીડ ઉમટી હતી. અને આ ભીડની અસર આગામી ૧૫ દિવસમાં કેસ સ્વરૂપે  દેખાય તેવું લાગે છે. માટે શાળાઓ શરૂ કરવા હજુ ૧૫ દિવસ રાહ જોવાનું વાલીઓ માની રહ્યા છે. તો જાણીતા સીનીયર ફિજીશિયન ડો. વસંત પટેલ જણાવે છે કે, કોરોનાના કેસ નિયંત્રણમાં છે. તો શાળાઓ ખોલવામાં વાંધો નથી. જોકે શાળાઓએ સંપૂર્ણ એસઓપીનું પાલન કરવું પડશે. જે શાળાઓમાં કલાસરૂમ ઓછા હોય તેવી શાળાઓએ સવારે માધ્યમિક અને બપોરે પ્રાયમરી શાળા ચલાવે તો પણ સંક્રમણની શકયતા નહિવત રહેશે. તેમજ હાલમાં ગુજરાત મોટાભાગે વેકસીનેશન થઈ ગયું છે જેથી કોરોનાના કેસ વધવાની શકયતા નહિવત જણાઈ રહી છે. જેથી બાળકોના ઘડતર માં શિક્ષણનો પાયો મજબૂત કરવો હોય તો શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ જરૂરી છે.

 

(7:35 pm IST)