Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ઘટક કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના ર૦ ટકા ફાળામાં હવે ધારાસભ્ય-કોર્પોરેટર-નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી ૧૦ને બદલે ર૦ ટકા પોતાની સંમતિથી રકમ ફાળવી શકશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ :રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતાં ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

  સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે ૭૦ ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, ર૦ ટકા ખાનગી સોસાયટી દ્વારા અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા ર૦ ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના ૧૦ને બદલે હવે ર૦ ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે.  
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે

(5:35 pm IST)