Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

બુધવારે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક: સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ ઉપસ્થિત રહેશે

કાલે ટ્રેન મારફતે પ્રદેશ કારોબારીના સભ્યો કેવડિયા જવા રવાના થશે:ગુરુવારે પ્રદેશ કારોબારીના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક તા.બીજી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે યોજાવાની છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ ઉપસ્થિત રહેશે. આગામી 2022ની વિધાનસભાને અનુલક્ષીને ચર્ચાઓ ઉપરાંત રાજકીય ઠરાવ, શોક ઠરાવ વગેરે ઠરાવો કરવામાં આવશે.

ત્રણ દિવસના આ કાર્યક્રમમાં આવતીકાલે તા.1લી સપ્ટેમ્બરના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કારોબારીના સભ્યો ટ્રેન મારફતે કેવડીયા જવા રવાના થશે. પ્રદેશ કારોબારીની બેઠક જવલ્લે જ બહારગામ યોજાય છે. આ કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કારોબારીના સદસ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ સરકારના અનેક કાર્યક્રમો ત્યાં યોજાવા લાગ્યા છે. આજે જ કેન્દ્રીય બાળ મહિલા અને બાળ વિકાસ દ્રારા યોજાયેલા રાષ્ટ્રીય પોષણ પરિષદનું સમાપાન થયું છે. આવતીકાલે પ્રદેશ ભાજપની કારોબારીના સભ્યો ટ્રેન તેમ જ વાહનોમાં કેવડિયા પહોંચશે. જયાં રજીસ્ટ્રેશનની કામગીરી ચાલશે. બીજી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ સહિતના મંત્રીઓ હાજરી આપશે.

મોટાભાગે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાતી હોય છે. પરંતુ આ વખતની પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ જવેલ્લે જ બહારગામ બેઠકો યોજાતી હોય છે.

(12:19 am IST)