News of Sunday, 1st August 2021
આણંદ:રાજયના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે આત્મ નિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ઇજનેરી કોલેજોને મહત્વનું યોગદાન આપી ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા કહ્યું હતું.
આજે વલ્લભવિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્ય-ગિરનાર છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા લાર્સન એન્ડ ટુ્બ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયક દ્વારા નિર્મિત એ. એમ. નાયક હાઉસ ઓફ સ્કોલર્સ તરીકે લોકાર્પણ કર્યું હતું.
નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલએ સરદાર પટેલના સપનાને હાઉસ ઓફ સ્કોલરમાં સાકાર કરવા બદલ ચારૂતર વિદ્યામંડળને અભિનંદન પાઠવી ભાઇકાકા અને ભીખુભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી.
નીતિનભાઇ પટેલે લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા તોપો બનાવીને ભારતીય લશ્કરને સોંપવામાં આવી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હવે મિસાઇલ ક્ષેત્રે પણ ઝંપાલવવા સુચન કર્યું હતું.
પટેલે ગુજરાતની ચારૂતર વિદ્યામંડળ સહિત રાજયની ઇજનેરી શૈક્ષણિક સંસ્થાઓમાં ઇજનેરી ક્ષેત્રે તૈયાર થતાં વિદ્યાર્થીઓ અને ફલેગશીપ જેવી મોટી-મોટી કંપનીઓ દ્વારા ગુજરાતમાં સ્થપાઇ રહેલા ઉદ્યોગોને કારણે આજે ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે મોટું બની ચુકયું હોવાનું જણાવ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીએ આઝાદી પહેલા સરદાર પટેલે દર વર્ષે નર્મદા નદી ઓવરફલો થઇને ભરૂચને અને ખેડૂતોની જમીનને નુકશાન થતું હતું અને કિંમતી પાણી દરિયામાં વહી જતું હતું તેનો સદઉપયોગ થાય તેની કલ્પના કરી હતી. સરદાર પટેલની આ કલ્પના સરદાર સરોવર ડેમ સાકાર થવાની સાથે આયોજન, વ્યવસ્થા અને દીર્ઘદ્રષ્ટિના કારણે આજે ચાર કરોડ ગુજરાતીઓ અને પશુઓને તેનો લાભ મળી રહ્યો હોવાનું કહ્યું હતું.
પટેલે આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે ભારત વેકસિનેશન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. જેના કારણે આજે આપણે કરોડો ભારતીયોને બચાવી શકવાનું કામ કરવાની સાથે લાખો રૂપિયાનું હૂંડિયામણ બચાવ્યું હોવાનું જણાવી યુવાનોને આત્મનિર્ભર ભારત ક્ષેત્રે આગળ આવી પોતાનું યોગદાન આપવા કહ્યું હતું.
નીતિનભાઇ પટેલે લાર્સન એન્ડ ટુ્બ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયક દ્વારા નિર્મિત એ. એમ. નાયક દ્વારા આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી તેઓ વધુને વધુ મદદ કરતા રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
નાયબ મુખ્ય મંત્રીએ ઇજનેરી કૌશલ્યમાં નાયક જેવા ઇજનેરો આજે વિશ્વમાં હરિફાઇ કરીને ડંકો બજાવી રહ્યા છે ત્યારે ચારૂતર વિદ્યામંડળ દ્વારા તૈયાર થતા ઇજનેરો આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટના પ્રમુખભીખુભાઇ પટેલે લાર્સન એન્ડ ટુ્બ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયકને માનદ ડૉકટરેટની ડિગ્રી એનાયત કરવાની જાહેરાત કરી હતી.
લાર્સન એન્ડ ટુ્બ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયકએ સામાજિક ઉત્થાન માટે નાણાં નહીં હૃ્દયની ભાવના જોઇએ તેમ જણાવી તેમની કંપનીના પરોપકારી પ્રોજેકટસ અને સમાજને ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણને ટેકો આપવા પર ભાર મૂકયો હતો.
નાયકે જ્ઞાન અને શિક્ષણમાંથી પ્રેરણા લઇને રાષ્ટ્ર માટે કામ કરવાની ભાવના કેળવવા તેમજ સમાજની સેવા કરવી એ આપણા સૌની ફરજ હોવાનું કહ્યું હતું.
પ્રારંભમાં ચારૂતર વિદ્યા મંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી ચારૂતર વિદ્યામંડળના આદ્યસ્થાપકોના આશીર્વાદ અને શુભેચ્છકો સાથે સીવીએમ યુનિવર્સિટી વિશ્વસ્તરીય શિક્ષણ આપવા માટે કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે મંડળના માનદ સહ મંત્રી મેહુલભાઇ પટેલે ચારૂતર વિદ્યામંડળની વિકાસગાથા વર્ણવી હતી જયારે અંતમાં મંત્રી એસ. જી. પટેલએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, આણંદ જિલલાના ભાજપના પ્રમુખ વિપુલભાઇ પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય
સંજયભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, ચારૂતર વિદ્યામંડળના પદાધિકારીઓ, યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટીઓના ડીનઓ, સંસ્થાના વડાઓ, આચાર્યઓ, અધ્યાપક ગણ,નાયકના પરિવારજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.