રાજકોટમાં ડુંગળીની આવક-પુરવઠો પ્રમાણમાં ઓછોઃ ભાવમાં મજબૂતાઈ
નિકાસ નિયંત્રણોમાં રાહતથી ભાવને ટેકો સાંપડે તેવી શકયતા
રાજકોટ, તા.૨૩ : ડુંગળી બજારમાં સાંકડી વધઘટે ભાવ અથડાયા કરે છે. આવક પ્રમાણમાં ઓછી છે. સરકાર નિકાસ નિયંત્રણોમાં રાહત અપાતા ભાવને ટેકો સાંપડે તેવી શકયતા છે. નાશિકમાં ડુંગળીની સરેરાશ આવક ૧૨ હજાર કવીન્ટલ આસપાસ રહે છે અને ભાવ કવીન્ટલના ૧૨૦૦થી ૩૦૦૦ વચ્ચે બોલાય રહ્યાં છે. આવક વધશે તો ભાવમાં સુધારો થવાની ધારણા છે.
સૌરાષ્ટ્રના મહુવામાં ડુંગળીની ૬૦ હજાર કટ્ટાની આવક થઇ હતી. ભાવ ૨૦ કિલોના ૩૦૦ થી ૫૫૦ સુધી કવોટ થઇ રહ્યાં છે.
દરમિયાન રાજકોટના ડુંગળીના વેપારી પ્રફુલભાઇ રંગાણીના જણાવ્યા મુજબ રાજકોટમાં હાલમાં ૩૫૦૦થી ૪૦૦૦ કટ્ટા ડુંગળીની આવક થઇ રહી છે. સફેદ ડુંગળીના ભાવ ૨૮૦થી ૩૩૦ સુધી બોલાઈ રહ્યાં છે. જયારે લાલ ડુંગળીના ભાવ ૫૨૦ થી ૬૨૦ સુધી કવોટ થઇ રહ્યાં છે. ભાવમાં એકંદરે સ્થિરતા છે.
પ્રફુલભાઇ વધુમાં જણાવે છે કે બજારમાં પુરવઠો પ્રમાણમાં ઓછો છે અને ભાવની સ્થિતિ મક્કમ છે. ડુંગળીના ભાવ ગગડતા વાવેતર ઓછું થયું છે. ડુંગળીના પરિવહન ખર્ચ અને અન્ય ખર્ચ જોતા ડુંગળીના રિટેલભાવ ૪૫ થી ૫૦ સુધી પહોંચતા હોય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી હોવાનું તેઓએ ઉમેર્યું હતું.