‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા નટુકાકાએ લીધી એન્ટ્રી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક વીડિયો જાહેર કરી નવા નટુકાકાથી દર્શકોને રૂબરૂ કરાવ્યા
મુંબઇ, તા.૩૦: લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું વર્ષોથી ટીવી પર પ્રસારણ થઇ રહ્યું છે અને તેના પાત્રો પણ લોકલાડીલા બન્યા છે. આ સીરિયલમાં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકાનું પાત્ર અભિનેતા ઘનશ્યામ નાયક ભજવતા હતા, પરંતુ ગયા વર્ષે તેમનું નિધન થયું હતું. તે બાદ અત્યાર સુધી આ સીરિયલમાં કોઇ નવા એક્ટર જોવા મળ્યા નહોતા, પરંતુ હવે આ સીરિયલમાં નવા નટુકાકાની એન્ટ્રી થઇ ગઇ છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક વીડિયો જાહેર કરી નવા નટુકાકાથી દર્શકોને રુબરુ કરાવ્યા છે. અસિત કુમાર મોદીએ આ વીડિયોમાં કહ્યું કે, જૂના નટુકાકાએ જ આ નવા નટુકાકાને મોકલ્યા છે. જેવી રીતે તમે તેમને પ્રેમ આપતા હતા, તેવી જ રીતે તમે નવા નટુકાકાને પણ ખૂબ-ખૂબ પ્રેમ આપો. જોકે, અસિત કુમાર મોદીએ આ વીડિયોમાં નવા નટુકાકાનું પાત્ર ભજવનારા એક્ટરનું નામ જણાવ્યું નથી.
નોંધનીય છે કે, આ સીરિયલ છેલ્લા ૧૪ વર્ષથી ટીવી પર ટેલિકાસ્ટ થઇ રહી છે. અગાઉ વર્ષો બાદ આ સીરિયલમાંથી અંજલી મહેતાનું પાત્ર ભજવતી નેહા મહેતા અને સોઢી બનનાર ગુરુચરણ સિંહે અલવિદા કહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શોના મુખ્ય પાત્રોમાંથી એક તારક મહેતા એટલે કે કવિ શૈલેષ લોઢા પણ શોમાં એક્ટિંગ કરતાં જોવા મળ્યા નથી. ચર્ચા છે કે, આગામી સમયમાં શૈલેષ એક હાસ્ય કવિ શો ટીવી પર હોસ્ટ કરતા જોવા મળશે.