'પધ્માવત'ના રિલિઝથી થયું અજય દેવગણને નુકશાન
મુંબઈ:કરણી સેનાએ ઉત્તર પ્રદેશમાં આવેલા તેના થિયેટર પર કર્યો હુમલો ‘પદ્માવત’ને કારણે પ્રોડ્યુસર્સ અને ઍક્ટર્સને ફાયદો થશે કે નુકસાન એ તો હજી કહેવું મુશ્કેલ છે, પરંતુ અજય દેવગનને જરૂર નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં આવેલા અજય દેવગનના થિયેટર પર કરણી સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાપુડ જિલ્લામાં આવેલા આ થિયેટરમાં મંગળવારે કરણી સેનાના કેટલાક મેમ્બર્સ જબરદસ્તીથી ઘૂસી ગયા હતા અને તેમણે તોડફોડ કરી હતી. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘પદ્માવત’નું ઍડ્વાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હોવાથી કરણી સેનાએ એના પર હુમલો કર્યો હતો. આ વિશે થિયેટરના મૅનેજરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને જેવી ખબર પડી કે ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે કે તેમણે ભેગા થવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ સ્લોગન પણ બોલી રહ્યા હતા. તેમણે ટિકિટ-વિન્ડોનો કાચ પણ તોડી નાખ્યો હતો. તેમણે થિયેટરના માલિકને મળવાની ડિમાન્ડ કરી હતી જેથી તેઓ ખાતરી કરી શકે કે ફિલ્મને રિલીઝ કરવામાં નહીં આવે.
અજય દેવગને ગયા વર્ષે ઑક્ટોબરમાં ઉત્તર પ્રદેશમાં ચાર થિયેટર ખરીદી લીધાં હતાં. તે આ સિંગલ થિયેટરને મલ્ટિપ્લેક્સમાં કન્વર્ટ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશની વસ્તીને ધ્યાનમાં રાખતાં અજય દેવગનનું માનવું છે કે ત્યાં થિયેટરની સંખ્યા ઓછી છે અને એથી જ તે ત્યાં મલ્ટિપ્લેક્સ બનાવી રહ્યો છે. જોકે તેના થિયેટરને થયેલા નુકસાન બદલ તેણે કમેન્ટ કરવાનું ટાળ્યું હતું.