ફિલ્મ જગત
News of Tuesday, 24th May 2022

પોતાને નસિબદાર સમજે છે તૃષા

એન્‍ડ ટીવી પર નવો શો ‘બાલ શિવ' આગામી ૩૧મીથી શરૂ થઇ રહ્યો છે. આ શોમાં બાલ પાર્વતી એટલે કે કાત્‍યાયનીના રોલ માટે તૃષા આશિષ શારદાની પસંદગી થઇ છે. હમેંશા માટે શિવ સાથે રહેવા માટે પાર્વતી બાલ સ્‍વરૂપ કાત્‍યાયનીના રૂપમાં જન્‍મ લે છે. આ શોમાં દેવી કાત્‍યાયનીનું પાત્ર મળતાં ખુબ જ ઉત્‍સુક બનેલી તૃષાએ કહ્યું હતું કે હું આ શો સાથે જોડાઇને મારી જાતને નસિબદાર સમજી રહી છું. હું પહેલીથી જ આ શોની અને દેવી પાર્વતીની ચાહક હતી. હવે મને બાળ પાર્વતિ એટલે કે કાત્‍યાયનીનો રોલ મળ્‍યો છે. દેવી કાત્‍યાયની એ દેવી દૂર્ગાનો જ એક ખુબ શક્‍તિશાળી અવતાર છે. જેણે દેવી પાર્વતી દ્વારા અપાયેલા સિંહ પર સવારી કરીને મહિષાસૂરનો વધ કર્યો હતો. તૃષા કહે છે દેવી કાત્‍યાયનીનો સ્‍વભાવ બાલ શિવથી તદ્દન અલગ છે. બાલ શિવ સતત ખુશ રહે છે, જ્‍યારે કાત્‍યાયની ક્રોધીત રહે છે. શિવ શાંત, દયાળુ અને દરેકને અવસર દેનારા છે તો દેવી કાત્‍યાયની દૂર્ગાની જેમ દયાળુ પણ દંડ દેવામાં કઠોર છે. બાલ શિવનો રોલ આન તિવારીએ નિભાવ્‍યો છે.

(10:18 am IST)