ફિલ્મ જગત
News of Thursday, 15th April 2021

અદિતી અને ક્રિશ શોની આત્મા બની ગયા છેઃ રાજેશ

જ્યારે પણ બાળકો આપણી આજુબાજુમાં હોય છે ત્યારે કંટાળો તમારાથી દૂર જતો રહે છે. બાળકોની એનર્જી અને ભોળપણ તમારી મીઠી યાદોને જગાડી શકે છે. સોની ટીવી પરના શો 'પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ' એવો શો છે જે દર્શકોને સંપુર્ણ પારિવારીક મનોરંજન આપી રહ્યો છે. દર્શકોને આ શો ખુબ પસંદ પડી રહ્યો છે. સિરીયલમાં બાળ કલાકારો અદિતી જલતારે અને ક્રિશ ચોૈહાણ  અહિલ્યાબાઇ અને ખંડરાવ હોલ્કરના પાત્રો નિભાવી રહ્યા છે. આ બંને બાળ કલાકારોએ માત્ર દર્શકો સાથે જ નહિ પરંતુ શોના સાથી કલાકારો સાથે પણ એક ખાસ લાગણીનો સંબંધ બાંધી લીધો છે. શોમાં મલ્હાર રાવ હોલ્કરનો રોલ નિભાવી રહેલા અભિનેતા રાજેશ શ્રૃંગારપુરેએ કહ્યું હતું કે આ બંને બાળકો ખુબ જ પ્રતિભાશાળી છે. એ બંને પોતાની મસ્તી અને મજાકભરી હરકતોને લીધે આ શોની આત્મા બની ગયા છે. આ બંનેની નાની નાની ખુશી આ શોમાં જીવ રેડી દે છે. તેઓ પરદા પાછળ પણ બધાને ખુશ રાખે છે. આ બાળકો પાસેથી પણ આપણને કંઇક શીખવા મળે છે.

(10:27 am IST)