ફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી
મુંબઈ:છેલ્લા ઘણા સમયથી બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમની કોઈ ફિલ્મ આવી નથી. ત્યારે તેની આગામી ફિલ્મ પરમાણુને લઈ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, હજી પણ દર્શકોએ જોનની આ ફિલ્મ માટે વધુ સમયની રાહ જોવી પડશે. જાણે કે તેની આ ફિલ્મ પર રીલીઝનુ ગ્રહણ લાગ્યુ હોય તેમ છે.
અન્ય ફિલ્મો સાથેની ડેટ ક્લેશના કારણે ત્રીજી વખત જોનની પરમાણુની રીલીઝમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. પહેલાની તારીખ મુજબ આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રીલીઝ થવાની હતી. સુત્રોના જણાવ્યા મુજબ, રાની મુખર્જીની ફિલ્મ હિચકી અને સોનાક્ષીની ાફિલ્મ બૂમ-બૂમ ઈન ન્યૂ યોર્કના કારણે જોને પોતાની ફિલ્મની રીલીઝ ડેટ પાછી ઠેલી દીધી છે. જોનની ફિલ્મ પોખરણની વાર્તા પર આધારીત છે. પોખરણમાં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યુ હતું. જે સમયની વાર્તા પર આ ફિલ્મ આધારીત છે. ફિલ્મનુ ડાયરેક્શન અભિષેક શર્માએ કર્યુ છે. જ્યારે ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત અભિનેત્રી ડાયના પેન્ટી પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. પહેલા આ ફિલ્મ ૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રીલીઝ થવાની હતી. જોકે તે સમયે ભણસાલીની ફિલ્મ પદ્માવત રીલીઝ થવાની વાત ચાલી રહી હતી, જેથી જોને પોતાની ફિલ્મની રીલીઝ પાછી ઠેલી હતી.