ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

દયાભાભીને મિસ કરો છો?

ગુડ ન્યુઝ ! ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી !

મુંબઇ તા.૧૩ : જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીને મિસ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી માર્ચ મહિનામાં શોમાં પાછા ફરશે.

સ્પોટબોય.કોમના રિપોર્ટ્સ મુજબ દિશા છેલ્લા ત્રણ મહિનાથી શોમાં દેખાઈ નથી. તેણે છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં એપિસોડ શૂટ કર્યો હતો. દર્શકો દયાભાભીના અવાજ અને હરકતોને મિસ કરી રહ્યા હતા. હવે તે માર્ચ મહિનામાં શોમાં પાછી ફરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દેવાની છે અને ડિલીવરી પછી તે તેના અંગત જીવન પર જ ફોકસ કરશે. જો કે આસિત મોદીએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતુ કે દિશા આ શોનો હંમેશા ભાગ રહેશે.

દિશાએ મુંબઈના સી.એ મયૂર પડિયા સાથે ૨૦૧૫માં લગ્ન કરી લીધા હતા. નવેમ્બરમાં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે કામ પર પાછી ફરશે ત્યારે તેની પુત્રી લગભગ ચાર મહિનાની થઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, દિશાનો પરિવાર ઘણો સપોર્ટિવ છે અને તે તેને બાળકીનું ધ્યાન રાખવામાં મદદ કરશે. દિશાના સાસુ પ્રેગનેન્સી દરમિયાન દિશાને કોઈ તકલીફ ન પડે તે માટે સેટ પર પણ આવતા હતા.

શરૂ થયાના દસ વર્ષ પછી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટોપ ૧૦ સીરિયલમાં સ્થાન બનાવી રાખ્યું છે. ૨૦૧૮નાં પ્રથમ અઠવાડિયામાં તે ટીવી પર સૌથી વધુ જોવાતો શો બની ગયો હતો.(૨૩.૮)

(4:04 pm IST)