Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કેટરિના-વિકીના લગ્નમાં કચોરી, પકોડીનો સ્વાદ માણશે આમંત્રિત મહેમાનો

કેટરિના-વિકીના લગ્નમાં બધું જ ભવ્ય છે તો પછી જમવાની પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે : કેટરિના-વિકીના લગ્નમાં જમવાના મેનુમાં કચોરીઓનો લાઇવ સ્ટોલ, દહી ભલ્લા અને ફયુઝન ચાટની સાથે-સાથે પાન તેમજ પકોડીના અલગ અલગ સ્ટોલ સામેલ છે

મુંબઇ,તા. ૮ : બોલિવૂડ એકટર કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નનું ફંકશન શરૂ થયું છે અને નવમી ડિસેમ્બરના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. વિકી-કેટરિના હવે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની હોટેલ સિકસ સેંસ કોર્ટ બરવાડા પહોંચ્યા છે. ત્યારે વિકી-કેટરિનાના લગ્નમાં સામેલ થનારા મહેમાનો પણ રાજસ્થાન પહોંચી રહ્યા છે. અહીં નોંધનીય છે કે કેટરિના-વિકીના લગ્નમાં માત્ર ૧૨૦ મહેમાનોને આમંત્રણ છે અને તેમાં કેટલાંક બોલિવૂડ સેલેબ્સ પણ હાજરી આપશે.

કેટરિના-વિકીના લગ્નમાં બધું જ ભવ્ય છે તો પછી જમવાની પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, કેટરિના-વિકીના લગ્નમાં જમવાના મેનુમાં કચોરીઓનો લાઈવ સ્ટોલ, દહીં ભલ્લા અને ફ્યુઝન ચાટની સાથે-સાથે પાન તેમજ પકોડીના અલગ-અલગ સ્ટોલ સામેલ છે. દાળ બાટી ચૂરમા જેવા પારંપરિક રાજસ્થાની ફૂડની સાથે-સાથે કબાબ અને માછલીની થાળી જેવી નોર્થ ઈન્ડિયન આઈટમ્સ પણ પીરસવામાં આવશે. કેટરિના-વિકીના લગ્નમાં એક ભવ્ય બ્લુ અને વ્હાઈટ ટિયર ટિફની વેડિંગ કેક હશે જે ખાસ ઈટાલીના શેફ સાથે તૈયાર કરવામાં આવશે.

કેટરિના-વિકીના લગ્નના કાર્યક્રમમાં મંગળવારે મહેંદી કાર્યક્રમ પછી બુધવારે સંગીત સેરેમની અને ૯ ડિસેમ્બર એટલે કે ગુરુવારે તેઓ લગ્ન કરશે. કેટરિના-વિકી ૧૦ ડિસેમ્બરે એક રિસેપ્શનનું આયોજન કરી શકે છે. અમારા સહયોગી 'ઇટાઇમ્સ'ના એક નજીકના સૂત્રના જણાવ્યા મુજબ, કેટરિના-વિકીના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે. આ ગ્લેમરસ ડેસ્ટિનેશન વેડિંગ બાદ કેટરિના-વિકી મુંબઈના જુહૂ સ્થિત પોતાના નવા ઘરમાં રહેવા જશે.

કેટરિના કૈફ અને વિકી કૌશલના પ્રી-વેડિંગ ફંકશન શરૂ થાય તે પહેલા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. તેમની સામે ફરિયાદ થઈ છે. રાજસ્થાનના વકીલ નૈત્રબિંદ સિંહ જાદૌને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે, કેટરિના અને વિકીના લગ્ન જયાં થવા થઈ રહ્યા છે તે સવાઈ માધોપુરના ચોથ કા બરવાડામાં છે. અહીંયા જ પ્રસિદ્ઘ ચૌથ માતાનું મંદિર છે. કેટરિના અને વિકીના લગ્નના પગલે મંદિર તરફ જતો રસ્તો ૬થી ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દેવાયો છે અને તેના કારણે જ કપલ સામે ફરિયાદ થઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે, માત્ર કેટરિના કૈફ અને વિકી કૌશલ સામે જ નહીં પરંતુ, લગ્નસ્થળ સિકસ સેન્સ ફોર્ટ બરવાડાના મેનેજર તેમજ જિલ્લા કલેકટર સામે પણ ફરિયાદ થઈ છે.

ફરિયાદ પ્રમાણે, હોટેલ સિકસ સેન્સ મંદિરે જતાં માર્ગમાં આવે છે. જિલ્લા કલેકટરના નિરીક્ષણ હેઠળ હોટેલ મેનેજરે મંદિર તરફ જતાં માર્ગને ૬થી ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દીધો છે. લગ્નના કારણે હોટેલ સિકસ સેન્સથી મંદિર જતો રસ્તો છ દિવસ સુધી બંધ હોવાથી મંદિર સુધી પહોંચવામાં શ્રદ્ઘાળુઓને મુશ્કેલી પડી રહી છે. વકીલે તેમની ફરિયાદમાં મંદિર તરફ જતા રસ્તાને ખોલવાની વિનંતી કરી હતી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેમને લગ્ન સામે કોઈ વાંધો નથી. તેમણે કહ્યું હતું કે, ચૌથ કા બરવાડા સદીઓ જૂના ચૌથ માતા મંદિરનું ઘર છે. અહીંયા નિયમિત સેંકડો શ્રદ્ઘાળુઓ આવતા હોવાનું પણ તેમણે કહ્યું હતુ.

(9:51 am IST)