Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કૌન બનેગા કરોડપતિ શોને 21 વર્ષ પૂર્ણ થયા અને શોમાં અમિતાભનો ચાર્મ હજુ પણ અકબંધ છેઃ આ વાત શેર કર્યા બાદ અમિતાભ ભાવુક થઈ ગયા અને પોતાના આંસુ લૂછતા જોવા મળ્યા

આ શો ગેમ શો અથવા તો કરોડો રૂપિયા કમાવવાના કારણે નહીં પરંતુ અમિતાભ બચ્ચનની હાજરીના કારણે સૌથી પોપુલર બન્યો છે

નવી દિલ્હી: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન માત્ર મોટા પડદા પર જ નહીં, નાના પડદા ઉપર પણ પોતાની મોટી ઈમેજ બનાવવામાં સફળ રહ્યા છે. 'કૌન બનેગા કરોડપતિ' પણ આજે ટેલિવિઝનની દુનિયામાં સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શો ગેમ શો અથવા તો કરોડો રૂપિયા કમાવવાના કારણે નહીં પરંતુ અમિતાભ બચ્ચનની હાજરીના કારણે સૌથી પોપુલર બન્યો છે. અમિતાભ વગર આ શોની કલ્પના કરવી પણ મુસ્કેલ છે. પરંતુ અમિતાભ બચ્ચન ફિલ્મોની વચ્ચે કેબીસી માટે કેમ રાજી થયા, તેના પર અભિનેતાએ પહેલીવાર નિવેદન આપ્યું છે.

ફિલ્મોમાં કામ નહીં મળવાના કારણે કેબીસીમાં આવ્યા

KBCના 1000 એપિસોડ પૂરા થવા પર તેની પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી નંદા શોમાં પહોંચી હતી. શોમાં તેના ડેબ્યુ અંગે નવ્યાના એક સવાલ પર અમિતાભે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું- 'ખરેખર, 21 વર્ષ થઈ ગયા. તેમની શરૂઆત વર્ષ 2000માં કરવામાં આવી હતી. અને તે સમયે અમને ખબર ન હતી. બધા કહેતા હતા કે તમે ફિલ્મથી ટેલિવિઝન, મોટા પડદાથી નાના પડદા તરફ જઈ રહ્યા છો, તમારી ઇમેજને નુકસાન થશે.

પરંતુ અમારી પોતાની અમુક પરિસ્થિતિઓ એવી હતી કે મને લાગ્યું કે ફિલ્મોમાં કામ જે છે તે મળી રહ્યું નથી. પરંતુ પ્રથમ પ્રસારણ (કેબીસીનું પ્રસારણ) થયા પછી જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી, ત્યારે એવું લાગ્યું કે આખી દુનિયા બદલાઈ ગઈ છે..'

અમિતાભની આ વાત દર્શકોના દિલને સ્પર્શી ગઈ. KBCનું સ્ટેજ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. ત્યારબાદ અમિતાભે પોતાની વાત ચાલુ રાખીને કહ્યું, 'મને સૌથી સારી વાત એ ગમી કે દરેક સ્પર્ધકો આવ્યા, તેમની પાસેથી મને દરરોજ કંઈકને કંઈક શીખવાનું મળ્યું.'

અમિતાભ બચ્ચન ભાવુક થયા

આજે, કૌન બનેગા કરોડપતિ શોને 21 વર્ષ પૂર્ણ થયા છે અને શોમાં અમિતાભનો ચાર્મ હજુ પણ અકબંધ છે. આ વાત શેર કર્યા બાદ અમિતાભ ભાવુક થઈ ગયા અને પોતાના આંસુ લૂછતા જોવા મળ્યા.

(5:08 pm IST)