Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

'હાર્વે કલબ એટલે ગુણુભાઇ અને ગુણુભાઇ એટલે હાર્વે કલબ'

રાજકોટના વોલીબોલ ખેલાડી ગુણવંત પંડયાનો ૮૩મા વર્ષમાં મંગલ પ્રવેશ

વોલીબોલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું : હાલ અમેરિકા સ્થાયી

રાજકોટના વોલીબોલ રમતગમત ક્ષેત્રે ખૂબ જ ખ્યાતનામ ખેલાડી અને ઇન્ટરનેશનલ વોલીબોલ રેફરીથી ગુણવંત પંડયા ૧૪ ઓગસ્ટના રોજ ૮૩ વર્ષમાં પ્રવેશ કરેલ છે. ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટની વોલીબોલ ટીમમાં પસંદગી પામી ઘણા વર્ષો નેશનલ કક્ષાએ રમવા ગયેલ. ૧૯૭૪માં બેંગલોર મુકામે વોલીબોલ રેફરી એકઝામ આપી નેશનલ રેફરી બન્યા.

૧૯૮૨માં વી.એફઆઇ. દ્વારા પસંદગી પામી ભારતનું પ્રતિનિધિત્વ લઇ ફીલીપાઇન્સના મનિલા મુકામે યોજાયેલ ઇન્ટરનેશનલ એકઝામ આપવા ગયેલ. પરીક્ષા પાસ કરી ઇન્ટરનેશનલ વોલીબોલ રેફરીની પદવી હાંસલ કરેલ.

દિલ્હી મુકામે યોજાયેલ એશિયન ગેઇમ્સમાં ઇન્દ્રપ્રસ્થ સ્ટેડીયમમાં વોલીબોલ ગેઇમ્સ માટે ટેકનિકલ ઓફિશીયલની ફરજ બજાવેલ.

મદ્રાસ મુકામે વી.એફ.આઇ.ની જનરલ બોર્ડની મીટીંગમાં સર્વાનુમતે ઓલ ઇન્ડિયા રેફરી ટેકનિકલ કમિટિમાં શ્રી ગુણવંત પંડયાની પસંદગી કરવામાં આવેલ.

ટોકિયો-જાપાન ખાતે યોજાયેલ થર્ડ એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપમાં રેફરી તરીકેનું એસાઇનમેન્ટ મળતાં શ્રી પંડયા જાપાન ટોકિયો ગયેલ.

ગુજરાતમાં વોલીબોલ રમતનું ધોરણ ઉંચુ લાવવા તે સમયના રાજકોટના મેયર શ્રી વિજયભાઇ રૂપાણી તથા કમિશનર શ્રી જી.આર.અલોરિયાના સહકારથી ભારત લેવલે ભાઇઓ તથા બહેનોની લીગ ટુર્નામેન્ટ રેસકોર્ષ ક્રિકેટ મેદાન પર યોજી હતી.

બીજી લીગ વોલીબોલ ટુર્નામેન્ટ જી.એસ.એફ.સી.ના એમ.ડી. શ્રી સી.જે.જોસ તથા એ.સી.પી. શ્રી ભરતસિંહ સરવૈયાના સહકારથી બરોડામાં યોજી હતી.

ત્રીજી લીગ ટુર્નામેન્ટ તે સમયના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી વજુભાઇ વાળા તથા કમિશનરશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રાના સહકારથી સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજી હતી.

૧૯૭૬માં રાજકોટની હાર્વે કલબનો કબજો કલેકટર શ્રી આર.બાસુ તથા ડી.એસ.પી.શ્રી એસ.એન.સિંહાએ લઇ એડહોક કમિટિ નિયુકત કરેલ. જેમાં શ્રી ગુણવંતભાઇને પણ લેવામાં આવેલ અને કલેકટરશ્રીની રાહબારી હેઠળ કલબના સઘળા સંચાલનની જવાબદારી સોંપવામાં આવેલ.

૧૯૭૬થી ૨૦૦૬ દરમિયાન કલેકટરશ્રી, કમિશનરશ્રી તથા અન્ય અધિકારીગણના સહકારથી કલબમાં સ્વીમીંગપુલ, ઇન્ડોર બેડમીન્ટન હોલ, જીમ હોલ, ટી.ટી. હોલ, બીલીયર્ડ હોલ, કવોશ હોલ, ફલ્ડ લાઇટમાં બે ટેનિશ કોટ શ્રી ગુણવંત પંડયાની દેખરેખ નીચે બનાવવામાં આવ્યા. જે તેમની ઝળહળતી કારકિર્દીના શ્રેષ્ઠ કાર્યો છે.

એચ.જે.સ્ટીલ તથા આઇઓસીના સહકારથી ૧૯૮૨થી ૨૦૦૬ સુધી મેજર ટેનિશ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ. આજે પણ આ ટુર્નામેન્ટો રમાઇ રહેલ છે. સંસ્થાનું સંચાલન હાલ શ્રી શશિભાઇ આડેસરા તથા એમ.બી.જાદવ સંભાળી રહેલ છે.

સંસ્થાને જાજરમાન બનાવવામાં શ્રી ગુણવંત પંડયાએ પોતાનો સમય આપી ભારે જહેમત ઉઠાવેલ. ૨૦૧૫માં પો.કમિશનર શ્રી મોહન ઝા તથા એડી. કમિશનર ડો. કે.એલ.એન. રાવે હાર્વે કલબની તેમની સેવા અને કામગીરી બદલ કલબમાં તેમનું જાહેર બહુમાન કરેલ.

સંસ્થાના સભ્યો તથા રાજકોટના ખેલાડી મિત્રો હંમેશા કહેતા 'હાર્વે કલબ એટલે ગુણુભાઇ અને ગુણુભાઇ એટલે હાર્વે કલબ.' અકિલા પરિવારે હંમેશ ગુણુભાઇ એટલે 'સદાબહાર' કહી સંબોધેલ. ગુણવંતભાઇ પંડયાને તેમના ૮૩માં જન્મ દિવસ પ્રસંગે અકિલા પરિવાર હૃદયની શુભેચ્છા પાઠવે છે.

(10:12 am IST)